23 February, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેરલા સ્ટોરી 2, અનુરાગ કશ્યપ અને પ્રકાશ રાજ (મિડ-ડે)
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સિક્વલ, ‘ધ કેરલા સ્ટોરી 2 – ગૉઝ બિયોન્ડ’ને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. ઘણા લોકો આ ફિલ્મને ‘પ્રોપોગેન્ડા’ કહી રહ્યા છે. આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. તેનું દિગ્દર્શન કામાક્ષ્ય નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિવાદો વચ્ચે, ફિલ્મના મેકર્સએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કલાકારો અને એક્ઝિક્યુટિવ્સ સાથે દેશના વિવિધ ભાગોમાંથી ફિલ્મ જે પીડિતોની વાર્તા બતાવવામાં આવી છે તે પીડિતાઓ પણ હાજર હતી.
એક મહિલાએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી. તેણે કહ્યું, "ધ કેરલા સ્ટોરી 1 અને 2 આપણને કહે છે કે લવ જેહાદ શું છે... આ બધું સાચું છે, તે વાસ્તવિકતા છે, કોઈ વાર્તા નથી... તેઓએ મને એક ગ્લાસ પાણી પીવડાવ્યું જેનો સ્વાદ કડવો. મને તે પાણી પીવડાવ્યા પછી, તેઓએ મને ડ્રગ્સ આપ્યું. પછી મેં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો કારણ કે હું લગ્ન કરવા માગતી નહોતી. હું માંરૂ કરિયર બનાવવા માગતી હતી અને પછી લગ્ન કરવા માગતી હતી." તેણે આગળ કહ્યું, "મને 2025 માં લગ્નનું વચન આપવામાં આવ્યું હતું. છતાં, તેઓએ મને બળજબરીથી ડ્રગ્સ પીવડાવ્યું, મને હિપ્નોટાઇઝ કર્યું અને 7 ડિસેમ્બરે મારી પરવાનગી વિના બાન્દ્રા કોર્ટમાં મારી સાથે લગ્ન કર્યા. તેઓએ મારું નામ ગૌરીથી બદલીને પલક કર્યું, અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા..." મુંબઈની માહિમ દરગાહનો ઉલ્લેખ કરતી બીજી એક મહિલાએ કહ્યું કે ત્યાં ઘણી મહિલાઓને પાણી આપવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ બેભાન થઈ ગઈ હતી. તેણે એમ કહ્યું, "પછી તેઓ મને ઘરે લઈ ગયા અને મારા પર બળાત્કાર કર્યો." તેણે એવો પણ આરોપ લગાવ્યો કે તેને બ્લૅકમેલ પણ કરવામાં આવી હતી.
ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા પછી વિવાદ વધ્યો, ખાસ કરીને એક સીન અંગે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે જેમાં મુસ્લિમ પરિવાર એક હિન્દુ છોકરીને બળજબરીથી ગૌમાંસ ખવડાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ દ્રશ્ય માટે મેકર્સની ટીકા કરી છે. ‘ધ કેરલા સ્ટોરી 2 - ગોઝ બિયોન્ડ’ 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર 18 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. ટ્રેલર ત્રણ હિન્દુ છોકરીઓની વાર્તા કહે છે જેમનું જીવન મુસ્લિમ છોકરાઓ સાથે પ્રેમમાં પડી જાય છે ત્યારે બદલાઈ જાય છે. તેઓ આગળ જતાં શોધે છે કે આ સંબંધ પાછળ બળજબરીથી ધર્મ પરિવર્તનનો અજેન્ડા છે.
વિવાદ માટે જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ ફિલ્મના મેકર્સ પર નિશાન સાધ્યું. તેણે સોશિયલ મીડિયા પર ડુક્કરનું માંસ, ગૌમાંસ અને માછલીની વાનગીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "કેરલાની સાચી વાર્તા એ છે કે ડુક્કરનું માંસ, ગૌમાંસ અને માછલી શાકાહારી ખોરાક સાથે રહે છે અને બધા સુમેળમાં રહે છે. કૃપા કરીને તેનો આનંદ માણો. બધાને રવિવારની શુભકામનાઓ."
ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે પણ ટ્રેલરની ટીકા કરી. તેણે કહ્યું, "ધ કેરલા સ્ટોરી એક સંપૂર્ણપણે બકવાસ ફિલ્મ છે. તે એક પ્રોપોગેન્ડા ફિલ્મ છે. આ રીતે ગૌમાંસ કોણ ખવડાવે છે? કોઈ આ રીતે ખીચડી પણ ખવડાવતું નથી. મને ખબર નથી કે આ ફિલ્મના મેકર્સનો ઇરાદો શું છે. તેઓ ફક્ત પૈસા કમાવવા અને લોકોને વિભાજીત કરવા માગે છે. ફિલ્મ નિર્માતા એક લોભી વ્યક્તિ છે, તે ફક્ત પૈસા કમાવવા માગે છે."
કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પણ ટ્રેલર પર નારાજગી વ્યક્ત કરી. ટ્રેલર રિલીઝ થયાના બીજા દિવસે, તેમણે ટ્વીટ કર્યું, "આ એક નફરત ફેલાવતી ફિલ્મ છે, અને તેની સિક્વલના સમાચારોને ગંભીરતાથી લેવા જોઈએ. પહેલા ભાગમાં છુપાયેલા સાંપ્રદાયિક ષડયંત્ર અને જુઠ્ઠાણાને સમજીને, કેરલા ફરી એકવાર ધર્મનિરપેક્ષતાને બદનામ કરવાના આ પ્રયાસને નકારી કાઢશે. આ અત્યંત આઘાતજનક છે. આ ફિલ્મ સાંપ્રદાયિક રમખાણો ભડકાવવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. આપણે એક થવું જોઈએ અને આપણી સુમેળભરી ભૂમિને આતંકના કેન્દ્ર તરીકે દર્શાવવાના આ પ્રયાસોનો વિરોધ કરવો જોઈએ. સત્યની હંમેશા જીત થાય છે."