25 April, 2026 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિવારની ટીકાથી અકળાઈને પાર્થ સમથાને સોશ્યલ મીડિયા પર બ્રેક લેવાની કરી જાહેરાત
પાર્થ સમથાનની ગણતરી ટીવી-ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકારોમાં થાય છે. હાલમાં પાર્થે સોશ્યલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરી છે, જેને કારણે તેના ચાહકો આશ્ચર્યમાં પડી ગયા છે. હકીકતમાં પાર્થનું ફૅન-ફૉલોઇંગ જેટલું મજબૂત છે એટલા જ પ્રમાણમાં તેને ટ્રોલ કરનારા લોકો પણ છે. આ સંજોગોમાં પાર્થને રોજબરોજ ટ્રોલિંગનો સામનો કરવો પડે છે અને આ જ કારણોસર પાર્થ કંટાળી ગયો છે. પાર્થનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર તેનું હૅરૅસમેન્ટ થઈ રહ્યું છે, જેના કારણે તેણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
પાર્થ સમથાને સોશ્યલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરતાં એક લાંબી પોસ્ટ પણ શૅર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું થોડા સમય માટે સોશ્યલ મીડિયા પરથી દૂર રહેવા ઇચ્છું છું. હું મારી ઊર્જા સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ કરવામાં બગાડવા માગતો નથી, પરંતુ મારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. હંમેશાં શાંત અને પોઝિટિવ વ્યક્તિ રહ્યો છું, જે સારાં પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે મેં નોંધ્યું કે કેટલાક લોકો નકલી અકાઉન્ટ બનાવીને મારા પરિવાર વિશે ખોટી અને અપમાનજનક વાતો કરી રહ્યા છે જે ખૂબ જ પરેશાન કરનારું છે. હું આ બાબતને લઈને બહુ ગુસ્સે છું અને કદાચ મને ખબર પણ છે કે આ બધાની પાછળ કોણ છે, પરંતુ હું કોઈનું નામ લેવા ઇચ્છતો નથી.’