13 December, 2020 08:54 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
રાની મુખરજી
રાની મુખરજીએ જણાવ્યું છે કે ‘મર્દાની’ ફ્રૅન્ચાઇઝી તેના માટે ખૂબ મહત્વની છે. ‘મર્દાની 2’ની રિલીઝને 1 વર્ષ પૂરું થયું છે. આ ફિલ્મમાં વાસ્તવિક અપરાધિક ઘટનાઓને દેખાડવામાં આવી હતી. મહિલાઓ સાથે આચરવામાં આવતા ગુનાઓ પર કાબૂ મેળવવા માટે રાની કટિબદ્ધ હોય છે. ફિલ્મમાં રાનીએ પોલીસ-ઑફિસર શિવાની શિવાજી રૉયની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મ તેના માટે અગત્યની હોવાનું જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘મર્દાની’ની ફ્રૅન્ચાઇઝી મારા માટે ખૂબ અગત્યની છે. એટલા માટે નહીં કે ફિલ્મમાં મહિલા સશક્તિકરણ વિશે દેખાડવામાં આવ્યું છે, મહિલાઓ સાથે થતા ગુનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, સાથે જ ફિલ્મમાં મહિલાને જ હીરો દેખાડવામાં આવી છે જે તમામ દૂષણની વિરોધમાં ઊભી રહે છે. પરંતુ આ ફિલ્મ તો માહિતી આપવાની સાથે મહિલાઓને સાવધાન કરે છે. આપણે ભલે એમ ઇચ્છીએ કે સમાજમાં પૉઝિટિવિટી અને સારી બાબતો ફેલાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે કેટલાક લોકોની મન્શા સારી નથી હોતી. મને લાગે છે કે ‘મર્દાની’ની ફ્રૅન્ચાઇઝી મહિલાઓને આશા અને હિમ્મત આપે છે. અમારી અપેક્ષા પ્રમાણે જ ફિલ્મને રિસ્પૉન્સ પણ મળ્યો હતો. એને કારણે ફ્રૅન્ચાઇઝી ખૂબ-ખૂબ સ્પેશ્યલ બની જાય છે.’
રાનીને અને તેણે ભજવેલા પોલીસના પાત્રને આખા ભારતમાં મહિલા પોલીસે ખૂબ આવકાર આપ્યો હતો. તેમની સાથે જ્યારે પણ મુલાકાત થતી તો કેવો પ્રતિસાદ મળતો એ વિશે રાનીએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ મહિલા પોલીસને મળતી તો તેઓ ન માત્ર ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપતી, પરંતુ તેઓ મારા પાત્ર શિવાની શિવાજી રૉયની પ્રશંસા કરતી હતી જે મારા માટે ખૂબ જ પૉઝિટિવ છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે તેમને પોતાની લાઇફ અને કરીઅર દરમ્યાન કયા પડકારોનો સામનો કરવો પડે છે. ફિલ્મની સફળતાનું શ્રેય તો પ્રોડ્યુસર આદિત્ય ચોપડા, ડિરેક્ટર ગોપી પુથરન અને પ્રદીપ સરકારને જાય છે. મારું એવું માનવું છે કે એક ઍક્ટર કોઈ પાત્રને ત્યારે જ સચોટતાથી ભજવી શકે છે જ્યારે એને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું હોય.’