હવે કંગના રનોટે અમિતાભ બચ્ચનની ચુપકીદી પર ઉઠાવ્યો સવાલ

20 August, 2020 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે કંગના રનોટે અમિતાભ બચ્ચનની ચુપકીદી પર ઉઠાવ્યો સવાલ

કંગના રનોટ, અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં પહેલે દિવસેથી પોતાના વિચારો રજુ કરી રહી છે. હવે અભિનેત્રીએ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ચુપકીદી પર સવાલો કર્યા છે. તેના બે મુખ્ય કારણ છે. પહેલું સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અને બીજું રામ મંદિર ભૂમિ પૂજન. કંગના રનોટે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેમ અમિતાભ જેવા મોટા સ્ટાર્સ સુશાંતને ન્યાય અપાવવા માટે ચાલતા કૅમ્પેનનો હિસ્સો ના બન્યા. તેમજ રામ મંદિર ભૂમિ પૂજન બાદ બિગ બીએ કોઈ શુભેચ્છા ના પાઠવતા ઠપકો આપ્યો હતો.

રિપબ્લિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગના રનોટે કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક છે. તે રામ મંદિરના ભૂમિ પૂજન પર કોઈને શુભેચ્છા આપી શકતા નથી. આ માફિયાનો ડર છે. હું તેમને જજ કરવા ઈચ્છતી નથી અને હું કોણ કે એમ કહું કે તેઓ આ અંગે શું વિચારે છે. જોકે, જે રીતના તેમના સંસ્કાર છે, જે રીતની ટ્વીટ તેઓ કરે છે, જે રીતે તેઓ હિંદુત્વને પ્રોત્સાહન આપે છે, તે જોઈને મને નથી લાગતું કે તેમને આની ખુશી ના થઈ હોય પરંતુ કોઈનો ડર તો હશે? પોતે અથવા પોતાના બાળકો ક્યાંક બૉયકોટ ના થઈ જાય અથવા તો તે લોકો વિરુદ્ધ ગેંગ-અપ થવાનો નહીંતર તેઓ કેમ શુભેચ્છા આપતી ટ્વીટ ના કરે?

સુશાંત સિંહ રાજપૂત પર બીગ બીએ કોઈ રિએક્શન ન આપતાં આ વિશે અભિનેત્રીએ કહ્યું હતું કે, તેઓ સુશાંત માટે ન્યાય નથી માગી શકતા? જરા તમે વિચારો કેમ? જ્યારે અમિતાભજી આટલા ડરેલા છે તો બાકી લોકો તો શું કરે? હું નથી માનતી કે સુશાંતના મોતના સમાચાર સાંભળીને તેમને દુઃખ નહીં થયું હોય, કારણ કે સુશાંત તમામના મન મોહી લેતો હતો. તે મારી જેમ બહુ બોલતો નહોતો. તે હંમેશાં બધા સાથે મિત્રતા રાખતો હતો. તેમનું દિલ પણ રડ્યું હશે પરંતુ તેઓ કંઈ કહી શકે તેમ નથી.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી અમિતાભ બચ્ચને તેના વખાણ કરતી એક પોસ્ટ શૅર કરી હતી. પરંતુ પછી સુશાંતના પરિવાર અને વિશ્વભરના તેના કરોડો ચાહકોએ CBI તપાસ માગ કરી ત્યારે અમિતાભ બચ્ચને સમર્થનમાં એક પણ ટ્વીટ કરી નહોતી. તેમજ રામ મંદિર ભૂમિ પૂજન વખતે બીગ બીએ કોઈ શુભેચ્છા નહોતી પાઠવી અને એ સમયે તેમને જેટલા પણ ટ્વીટ કર્યા યુર્ઝસ તેના પર નેગેટિવ કમેન્ટ કરી રહ્યાં હતાં.

entertainment news bollywood bollywood news bollywood events sushant singh rajput kangana ranaut amitabh bachchan ayodhya ram mandir