શાહરુખે શેમાં કરી પીછેહઠ?

10 December, 2012 08:04 AM IST  | 

શાહરુખે શેમાં કરી પીછેહઠ?




શાહરુખ ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી મહાભારતની વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યો છે. ગયા વર્ષે તેણે જાહેરમાં આ ફિલ્મમાં કર્ણનો રોલ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે મળતી માહિતી પ્રમાણે શાહરુખને ખબર પડી છે કે ફિલ્મમેકર રાજકુમાર સંતોષી પણ આ વિષય પરથી ફિલ્મ બનાવવા તૈયાર છે ત્યારે તેણે પોતાનો પ્રોજેક્ટ પડતો મૂકવાનું યોગ્ય સમજ્યું હતું.

આ વિશે વાત કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એક વ્યક્તિ જણાવે છે, ‘શાહરુખ ખાનને એક સાયન્સ ફિક્શન બનાવવાની બહુ ઇચ્છા હતી અને એટલે તેણે પોતાની ટીમને મહાભારતની વાર્તા પર આગળ કામ કરવાનું જણાવી દીધું હતું. શાહુખને હંમેશાં આ વિષયનું આકર્ષણ રહ્યું છે. જોકે હજી વાત બહુ આગળ નહોતી વધી અને ટીમ આ વિષય પર કામ કરી જ રહી હતી ત્યારે શાહરુખે આ આખો પ્રોજેક્ટ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે.’

આ વિશે વાત કરતાં શાહરુખ કહે છે, ‘એ વાત સાચી છે કે હું મહાભારત પરથી ફિલ્મ બનાવવા માગતો હતો. જોકે મને જ્યારે ખબર પડી કે રાજકુમાર સંતોષી પણ આ વાર્તા પરથી ફિલ્મ બનાવી રહ્યા છે ત્યારે મેં તરત જ મારો વિચાર પડતો મૂક્યો હતો. વળી આ પ્રકારની વાર્તામાં ખાસ પ્રકારનો લુક અને ડ્રેસ જોઈતા હોવાને કારણે એમાં સારો એવો સમય ચાલ્યો જાય છે. હાલમાં તો ફારાહ ખાનની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છું અને નેક્સ્ટ હોમ-પ્રોડક્શનમાં ધ્યાન આપી રહ્યો છું. મને યાદ છે કે હું જ્યારે ‘ચક દે!’ કરી રહ્યો હતો ત્યારે ખાસ પ્રકારના લુક માટે મેં ફિલ્મ એક વર્ષ મોડી કરાવી હતી.’