01 August, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણનું ટ્રેલર જોઈને મહાભારતના શ્રીકૃષ્ણ નીતીશ ભારદ્વાજ અભિભૂત
ભારતનાં વિરાસત, મૂલ્યો, સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાની તારી સામાજિક જવાબદારી હવે શરૂ થાય છે; હવે ઍનિમલ જેવી ફિલ્મ ન કરતો; તારી વાણીને હવે પ્રદૂષિત ન કરતો
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર જોઈને ‘મહાભારત’માં કૃષ્ણ તરીકે અમાપ લોકપ્રિયતા મેળવનાર નીતીશ ભારદ્વાજે ફિલ્મનાં ખૂબ વખાણ કર્યાં છે. ‘રામાયણ’ના ટ્રેલર વિશે મારું માનવું છે કે આ ફિલ્મ બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરીમાં ઑસ્કર અવૉર્ડ મેળવવા માટે ૧૦૦ ટકા દાવેદાર છે એમ જણાવતાં નીતીશ ભારદ્વાજ કહે છે, ‘હું ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાને અભિનંદન પાઠવું છું. સત્યજિત રાય અને શેખર કપૂર પછી ‘રામાયણ’ના ડિરેક્ટર નિતેશ તિવારી વર્લ્ડ સિનેમાને ભારત તરફથી મળનારી સૌથી મોટી ભેટ છે. આ ફિલ્મની પ્રોડક્શન-ડિઝાઇન અને કૅમેરા-વર્ક એટલાં શાનદાર છે કે એના માટે ૧૦ અવૉર્ડ મળવા જોઈએ. ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી અદ્ભુત સૃષ્ટિ ઊભી કરવામાં આવી છે. એ.આર. રહમાન અને હાન્સ ઝિમરના સંગીતે ટ્રેલરને વધુ ભવ્ય બનાવી દીધું છે. રણબીર હવે રણવીર સાથે આગામી ધુરંધર અભિનેતા છે. યશ... ગ્લોબલ સિનેમામાં તમારું સ્વાગત છે.’
પોતાની પોસ્ટમાં નીતીશ શ્રી રામ બનેલા રણબીરને કહે છે, ‘હું હંમેશાં તને એક અભિનેતા તરીકે પસંદ કરતો આવ્યો છું પણ હવે ભારતની વિરાસત, મૂલ્યો, સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાની તારી સામાજિક જવાબદારી શરૂ થાય છે. આ સાથે મારી તને એક ખાસ વિનંતી છે કે હવે ‘ઍનિમલ’ જેવી ફિલ્મો ન કર, ભલે એના બદલામાં તને સોનાની ખાણ કેમ ન મળે. તારી વાણીને હવે ગંદી ન બનાવ. ભારતમાં તારી અભિનયક્ષમતાને રજૂ કરવા માટે ઘણી સારી વાર્તાઓ ઉપલબ્ધ છે.’