19 May, 2020 12:20 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીના લગ્ન જોખમમાં લાગે છે. તેમની પત્ની આલિયા સિદ્દીકીએ તેમને ડિવોર્સ અને મેઇન્ટેનન્સ ભથ્થા માટે લીગલ નૉટિસ મોકલી છે. આલિયાના અધિવક્તા અભય સહાય પ્રમાણે, કોરોના વાયરસ પેન્ડેમિકમાં લૉકડાઉનને કારણે સ્પીડ પોસ્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે નોટિસ 7 મેના વૉટ્સએપ અને ઇમેલ દ્વારા મોકલવામાં આવી છે. વકીલનું પણ એ જ કહેવું છે કે નવાઝે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી.
સોમવારે પીટીઆઇ સાથે આ વિશે વાત કરતાં સહાયે કહ્યું કે- મારી ક્લાઇંટ મિસિસ સિદ્દીકીએ વૉટ્સએપ દ્વારા પણ નોટિસ મોકલી હતી, જે મેઇન્ટેનન્સ ભથ્થા અને ડિવૉર્સ માટે મોકલી દેવામાં આવી છે. અભય સહાયે આથી વધારે માહિતી આપવાની ના પાડી દીધી છે, કારણકે નોટિસ કૉન્ફિડેન્શિયલ છે, પણ એટલું કહ્યું કે એક્ટર અને તેમના પરિવાર પર મૂકવામાં આવેલા આરોપ ખૂબ જ ગંભીર છે.
નવાઝે આલિયા સાથે 2009માં લગ્ન કર્યા હતા. બન્નેના બે બાળકો પણ છે. આ પહેલા નવાઝના લગ્ન શીબા સાથે થયા હતા, જે થોડોક સમય જ ટક્યા. જણાવીએ કે નવાઝ આ સમયે પોતાના ગૃહવતન બુઢાનામાં છે, જે ઉત્તરપ્રદેશમાં આવેલું છે. નવાઝ 12 મેના જ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા છે. લૉકડાઉનમાં પ્રવાસ કરવા માટે તેમણે મહારાષ્ટ્ર સરકાર પાસેથી આવશ્યર પરવાનગીઓ લીધી હતી.
નવાઝે આ વિશે ટ્વિટર પર લખ્યું - તાજેતરમાં નાની બહેનના જવાથી મારી 71 વર્ષની માને બે વાર એન્ઝાઇટી અટેક આવ્યો હતો. અમે રાજ્ય સરકારની ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કર્યું છે. અમે અમારા ઘરે બુઢાનામાં ક્વૉરન્ટાઇનમાં છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા પણ નવાઝના લગ્નજીવનમાં તાણ હોવાની ચર્ચાઓ હતી. જો કે, ત્યારે તેમણે આ વાતનું ખંડન કર્યું હતું. એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં આલિયાએ કહ્યું કે, "નવાધ સાથે મારી મુશ્કેલીઓનું એક નહીં પણ ઘણાં કારણ છે. બધાં કારણ ખૂબ જ ગંભીર છે." હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે, આલિયાએ પોતાનું નામ અંજના આનંદ કિશોર પાંડે લખવાનું શરૂ કરી દીધું છે. તેને અંજલિ નામે પણ ઓળખવામાં આવે છે.
નવાઝની વેબ ફિલ્મ ઘૂમકેતુ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે, જેમાં તે એક નાનકડા વિસ્તારના ફિલ્મ રાઇટર બન્યા છે, જે મુંબઇ પોતાના સપનાઓ પૂરાં કરવા જાય છે.