19 May, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાના પાટેકર
અત્યારે યુદ્ધનો માહોલ છે ત્યારે બૉલીવુડના ઍક્ટર નાના પાટેકરે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો એ વાત ફરી ચર્ચામાં છે. નાનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું કારગિલ યુદ્ધ દરમ્યાન સેનાની ક્વિક રિસ્પૉન્સ ટીમનો ભાગ હતો.
ચાર દાયકાથી વધુ સમયથી બૉલીવુડમાં કામ કરી રહેલા નાના પાટેકર સત્તાવાર રીતે ભારતીય સેનામાં જોડાયા હતા. એ સમયે તેમને સેનામાં માનદ કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સરહદ પર મિલિટરી હૉસ્પિટલમાં સૈનિકોની સંભાળ પણ રાખતા હતા. તેઓ સૈનિકો સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા પણ હતા.
સેનામાં કામ કરવાના પોતાના અનુભવ વિશે નાનાએ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘મેં જ્યારે યુદ્ધમાં સામેલ થવા માટે પરવાનગી માગી તો મને ના પાડી દેવામાં આવી હતી. કહેવાયું કે રક્ષાપ્રધાનના કહેવાથી જ આ શક્ય બનશે. એ સમયે જ્યૉર્જ ફર્નાન્ડિસ દેશના રક્ષાપ્રધાન હતા અને મારા મિત્ર પણ હતા એટલે મેં તેમને ફોન કરીને પરવાનગી માગી હતી. તેમણે પણ ના પાડી દીધી હતી. મેં કહ્યું કે કમિશન માટે ૬ મહિનાની તાલીમ હોય છે, પણ મેં ત્રણ વર્ષની તાલીમ લીધી છે. ફિલ્મ ‘પ્રહાર’ દરમ્યાન મેં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં તાલીમ લીધી હતી. એટલું જાણ્યા બાદ તેમણે મને પરમિશન આપી દીધી હતી.’