28 June, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ ખન્ના
અયોધ્યાના રામ મંદિરમાં ચડાવાની ચોરીના મામલામાં ગોટાળાની વાત સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. હવે આ સમગ્ર મામલે અભિનેતા મુકેશ ખન્નાએ રામ મંદિરમાં થયેલી ચોરી વિશે ગુસ્સો વ્યક્ત કરતાં લોકોને અપીલ કરી છે કે તેઓ પૈસા અને દાગીનાના રૂપમાં ચડાવો ચડાવવાનું બંધ કરે. મુકેશ ખન્નાનું કહેવું છે કે હવે બેઈમાન લોકો માત્ર ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટવામાં લાગ્યા છે.
મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા પર લોકોને અપીલ કરતાં લખ્યું છે, ‘શું તમે જાણો છો કે મંદિરોમાં તમે જે રોકડ ચડાવો છો એ ભગવાન સુધી પહોંચતી જ નથી, વચ્ચે જ ક્યાંક ગાયબ થઈ જાય છે? ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. કહેવત છેને કે લૂંટી શકો તો લૂંટી લો અને અહીં તો લૂંટનારા લોકો ઢગલાબંધ છે. મેં એક વખત કહ્યું હતું કે ચોર, ડાકુ અને બેઈમાનોથી દેશ ભરેલો છે છતાં પણ મારો દેશ મહાન છે; પણ આ ચડાવો લૂંટનારા લોકોને હું શું કહું? ચોર, ડાકુ કે બેઈમાન? એમાંથી કોઈ નહીં, કારણ કે તેઓ આ બધાથી ખરાબ છે. તેઓ માત્ર ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટી રહ્યા છે. હું માત્ર ભક્તોને એટલી જ સલાહ આપીશ કે જેમ કહેવાય છે કે ‘ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી’ અને એ જ રીતે ‘ન ચડાવો ચડશે, ન ગોટાળો થશે.’ ખાસ કરીને પૈસા અને દાગીનાનો ચડાવો બંધ કરી દો. ભગવાન એનાથી વધુ ખુશ થશે.’