15 July, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ને લઈને વિવાદ હજુ પણ યથાવત છે
દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ને લઈને વિવાદ હજુ પણ યથાવત છે. ફિલ્મ ભલે ઝી5 પરથી હટાવી દેવામાં આવી હોય, પરંતુ અનેક સ્થળોએ હજુ પણ એનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. હવે આ મામલે સરકાર કડક વલણ અપનાવવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે ‘સતલજ’ને કાયદેસર મંજૂરી વગર રિલીઝ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં ૧૨૭ કટ્સ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પણ નિર્માતાઓએ એમાં કોઈ ફેરફાર કર્યા વગર જ ફિલ્મ રજૂ કરી દીધી હતી. આમ આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી જરૂરી સર્ટિફિકેટ પણ ન મળ્યું હોવા છતાં ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવી હતી.
આ સંજોગોમાં સરકાર હવે ફિલ્મના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાથે જ જ્યાં-જ્યાં ફિલ્મનું જાહેર સ્ક્રીનિંગ થઈ રહ્યું છે ત્યાં સંબંધિત રાજ્ય સરકારોને પણ જરૂરી કાનૂની પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હોવાના રિપોર્ટ છે.