16 November, 2019 10:44 AM IST | Mumbai
માનુષી છિલ્લર અને અક્ષય કુમાર
અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા મિસ વર્લ્ડ ૨૦૧૭ માનુષી છિલ્લર બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. નિર્ભય રાજા પૃથ્વીરાજ ચૌહાણનાં જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મમાં માનુષી રાજકુમારી સંયોગિતાની ભૂમિકામાં જોવા મળશે. તો પૃથ્વીરાજના પાત્રને પડદા પર અક્ષયકુમાર સાકાર કરશે. સંયોગિતા રાજા જય સિંહની દીકરી હતી. તેના પિતા દીકરીના લગ્ન પૃથ્વીરાજ ચૌહાણ સાથે કરાવવા માટે તૈયાર નહોતા. આ ફિલ્મનું હાલમાં જ મુહુર્ત પણ કરવામાં આવ્યુ હતું. મુહુર્ત પૂજામાં અક્ષયકુમાર અને માનુષી સામેલ થયા હતાં. પૂજાનો ફોટો અને વિડિયો ક્લિપ ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘અમે ફિલ્મની શુભ શરૂઆત કરી છે. પૃથ્વીરાજના વિશ્વમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. ૨૦૨૦ની દિવાળીમાં ફિલ્મ રિલીઝ થવાની છે. તમારો પ્રેમ અને આશિર્વાદ હંમેશા અમારી સાથે રહેશે એવી આશા છે.’
યશરાજ ફિલ્મસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને ચન્દ્રપ્રકાશ દ્વિવેદી ડિરેક્ટ કરશે. તેમણે ‘ચાણક્ય’ ટેલિવિઝન સિરીયલને ડિરેક્ટ કરી હતી. આ પાત્ર માટે માનુષીએ ઘણી વાર ઑડિશન આપ્યું હતું. ઑડિશનમાં પાસ થયા બાદ છેલ્લા નવ મહિનાથી
તે અઠવાડિયાના છ દિવસ આ પાત્ર માટે તૈયારી કરી
રહી હતી. સંયોગિતાના પાત્ર ભજવવાની તક મળતા માનુષીએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ અને ઉત્સાહિત છું કે મારે તેમની લાઇફ વિશે શીખવા અને જાણવા મળશે. મારી લાઇફ પણ પરીની કથા જેવી જ છે.
મિસ ઇન્ડિયા બનવાથી માંડીને મિસ વર્લ્ડ સુધીનો પ્રવાસ અને હવે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે આટલો મોટો પ્રોજેક્ટ મળ્યો. આ મારી લાઇફનું નવુ અને એક્સાઇટિંગ ચૅપ્ટર છે.’
સંયોગિતાની પ્રશંસા કરતા માનુષીએ કહ્યું હતું કે ‘તે ખૂબ જ પાવરફૂલ વ્યક્તિ હતા અને તેમણે હંમેશાં સત્યનો સાથ આપીને પોતાની લાઇફમાં અગત્યનાં નિર્ણયો લીધા હતાં. ભારતીય ઇતિહાસમાં તેમનું જીવન ખૂબ મહત્ત્વનું પાસુ છે. હું તેમનાં પાત્રને સચોટતાથી ભજવવા માટે બનતા બધા પ્રયાસો કરીશ’