24 April, 2024 06:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ દેસાઈની તસવીર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’ નિષ્ફળ જતાં સિંગલ સ્ક્રીન થિયેટર્સને ખૂબ જ નુકસાન થવાથી મુંબઈનાં ગૅલૅક્સી થિયેટરને ટેમ્પરરી બંધ કરી દેવામાં આવ્યાં હોવાની વાતો ચાલી હતી. જોકે આ એક ખોટા સમાચાર છે. શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ અને સની દેઓલની ‘ગદર’ને કારણે સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકોને ખૂબ જ ફાયદો થયો હતો. જોકે આ બે ફિલ્મોને કારણે તેમને એટલું જ નુકસાન પણ થયું છે. લોકસભાના ઇલેક્શનને લઈને મે મહિનામાં એક પણ મોટી ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ ગૅલૅક્સી થિયેટરને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. આ વિશે ગૅલૅક્સી થિયેટરના સર્વેસર્વા મનોજ દેસાઈ કહે છે, ‘થિયેટરને બંધ કરવામાં આવ્યું છે એ માત્ર અફવા છે. લોકો આવા સમાચાર શું કામ ફેલાવે છે એ સમજમાં નથી આવતું. ગૅલૅક્સી ફક્ત ત્રણ દિવસ માટે બંધ હતું અને એ પણ અપગ્રેડેશન માટે. પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમને બદલવામાં આવી છે. અમે રિનોવેશન કર્યું અને ફરી બિઝનેસમાં આવી ગયા છીએ. આ શુક્રવારે નવી ફિલ્મને પણ રિલીઝ કરવામાં આવશે.’
પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમને બદલવા માટે થિયેટર ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. અમે ફરી બિઝનેસમાં આવી ગયા છીએ.
- મનોજ દેસાઈ