11 July, 2019 05:06 PM IST | મુંબઈ
ધોનીને લતા મંગેશકરે કરી વિનંતી
બુધવારે ન્યૂઝિલેન્ડ સામેની સેમિફાઈનલ હારી ગયા બાદ ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો નિરાશ છે. સાથે એક ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે તે છે મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટના. જેના પર સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, "નમસ્કાર, એમ એસ ધોનીજી.. આજ કાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો. કૃપા કરીને તમે એવું ના વિચારો. દેશને તમારા ખેલની જરૂર છે. અને આ મારી પણ વિનંતી છે કે તમે તમારા મનમાં નિવૃતિનો વિચાર પણ ન લાવો."
સાથે જ લતા મંગેશકરે ટીમ ઈન્ડિયા માટે પણ ખાસ સંદેશો આપ્યો છે. તેમણે એક ગીત ટ્વીટ કર્યું અને લખ્યું કે, "કાલે ભલે આપણે જીતી ન શક્યા પણ આપણે હાર્યા નથી. ગુલઝાર સાહેબનું ક્રિકેટ માટે લખવામાં આવેલું આ ગીત હું આપણી ટીમને ડેડિકેટ કરું છું."
એક તો ભારતની સેમી ફાઈનલમાં હાર અને તેમાં પણ ધોનીની નિવૃતિની ખબરોથી ભારતીય ચાહકો નિરાશામાં છે. ટ્વિટ્ટર પર #ThankYouMSD ટ્રેન્ડ કરી રહ્યું છે. લતા મંગેશકર પણ ક્રિકેટના બહુ મોટા ચાહક છે. ભારતની તમામ મેચ તેઓ જરૂરથી જુએ છે. અને ટ્વીટ પણ કરે છે. અને હવે તેમણે ધોનીને પણ નિવૃતિ ન લેવા અપીલ કરી છે.