09 December, 2019 10:22 AM IST | Mumbai
લતા મંગેશકર
ઘણા દિવસોથી હૉસ્પિટલમાં ઍડમિટ લતા મંગેશકરને આખરે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તેમને ૧૧ નવેમ્બરે મોડી રાતે દોઢ વાગ્યે શ્વાસ લેવામાં તકલીફ થતાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યાં હતાં. તેમને ન્યુમોનિયાની સાથે જ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યર થયું હતું. પોતાને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળવાના સમાચાર લતા મંગેશકરે આપતાં સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર લતા મંગેશકરે ટ્વીટ કર્યું હતું, ‘નમસ્કાર, છેલ્લા ૨૮ દિવસથી હું બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડૉક્ટરોની ઇચ્છા હતી કે હું પૂરેપૂરી રીતે સ્વસ્થ થઈ જાઉં અને ત્યાર બાદ ઘરે જાઉં. હું હવે ઘરે આવી ગઈ છું. ઈશ્વર, માઈ-બાબાના આશીર્વાદથી અને આપ સૌના પ્રેમ-પ્રાર્થનાઓથી હું સ્વસ્થ થઈ ગઈ છું. તમારા સૌનો હું દિલથી આભાર માનું છું. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ડૉક્ટરો ખરેખર દૂત સમાન છે. સાથે જ કર્મચારીઓનો સ્ટાફ પણ ખૂબ સારો છે. તમારા સૌનો હું ફરી એક વાર આભાર માનું છું. તમારો પ્રેમ અને આશીર્વાદ આ રીતે જ મને મળ્યા કરે.’