20 June, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2ને આકાશદીપ સહગલ કરશે અલવિદા?
હાલમાં સ્ટાર પ્લસના શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થયો છે ત્યારે એમાં એક ધમાકેદાર ટ્વિસ્ટ આવશે એવા રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે શોમાં રિયોનો રોલ કરનાર આકાશદીપ સહગલ હવે આ શોને અલવિદા કહી દેશે. રિપોર્ટ પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ની વાર્તામાં ટૂંક સમયમાં ૧૦ વર્ષનો મોટો સમયગાળો દર્શાવતો લીપ આવવાનો છે. આ લીપ બાદ શોની વાર્તા સંપૂર્ણપણે નવા વળાંક પર જશે અને રિયો બનતા આકાશદીપ સહગલના અને પાર્થ બનતા સોહેલ સિંહનાં પાત્રોને કાયમ માટે સમાપ્ત કરવામાં આવશે.
ચર્ચા છે કે લીપ પછી એક મોટા ડ્રામેટિક ટ્રૅક દરમ્યાન બન્ને પાત્રોનાં મૃત્યુનું દૃશ્ય બતાવવામાં આવશે જેના પછી બન્ને કલાકારો શોમાંથી વિદાય લેશે. જોકે આ બાબતે હજુ સુધી નિર્માતાઓ અથવા કલાકારો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આકાશદીપ સહગલ તેના પાત્રના અંત પછી ‘લૉક અપ સીઝન 2’માં સ્પર્ધક તરીકે ભાગ લેશે એવા સમાચાર છે, પણ હજી સુધી આ વાતની જાહેરાત નથી થઈ.