11 July, 2019 02:55 PM IST | મુંબઈ
ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા
જાણીતા અભિનેતા ધર્મેન્દ્રએ યમલા પગલા દીવાના 3ની રિલીઝ વખતે સોશિયલ મીડિયા જોઈન કર્યું હતું. એ વખતે તેમની ઉંમર 81 વર્ષ હતી. પરંતુ હવે ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાનું એલાન કરીને ફેન્સ અને ફોલોઅર્સ વચ્ચે સનસની મચાવી દીધી છે. એવું લાગે છે કે ધર્મેન્દ્રએ કેટલાક ટ્રૉલર્સથી પરેશાન થઈને આ નિર્ણય લીધો છે.
ધર્મેન્દ્રએ ટ્વિટ્ટર પર જાહેરાત કરતા કહ્યું કે- દોસ્તો, હું તમને સૌને પ્રેમ કરું છું. મને એક નાનકડા ખરાબ કમેન્ટથી પણ ખરાબ લાગે છે. હું એક ભાવુક વ્યક્તિ છું. જેથી હું તમને સૌને પરેશાન નહીં કરું. ધર્મેન્દ્રની આ પોસ્ટથી સાબિત થાય છે કે કેટલાક લોકોની નેગેટિવ કમેન્ટ્સની તેના પર કેવી અસર પડી છે.
ધમેન્દ્ર એક લાગણીશીલ વ્યક્તિ છે. જેનો અંદાજ સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટથી લગાવી શકાય છે. તેઓ પોતે પણ તેને ઉલ્લેખ કરતા રહે છે. શેર અને શાયરીના માધ્યમથી પોતાના ઈમોશન્સ શેર કરતા ધર્મેન્દ્રએ જ્યારે સોશિયલ મીડિયા જોઈન કર્યું ત્યારે કદાચ પ્રેમની સાથે મળનારી ગંદકીનો અંદાજો નહીં હોય. એટલે જ તેઓ ખૂબ જ એક્ટિવ રહ્યા અને પોતાની તસવીરો અને સ્ટેટસથી ચાહકોને પ્રેમની ભેટ આપતા રહ્યા, પરંતુ ટ્રોલર્સે તેમને ન છોડ્યા.
લોકસભા ચૂંટણી દરમિયાન દીકરા સની દેઓલના રાજનીતિમાં ઉતરવા પર પણ ધર્મેન્દ્રને ટ્રોલ કરવામાં આવ્યા હતા. બીકાનેરમાં તેમના કામને લઈને સવાલ કરવામાં આવ્યા હતા, જેનો ધર્મેન્દ્રએ જવાબ પણ આપ્યો હતો. જો કે, ધર્મેન્દ્રના આ એલાન બાદ કેટલાક ચાહકો તેને રોકાઈ જવાની માંગ કરી રહ્યા છે..