25 April, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહ રૂખ ખાન , કારણ જોહર , આદિત્ય ચોપરા
કરણ જોહરને હાલમાં જ ઑલ ઇન્ડિયા મૅનેજમેન્ટ અસોસિએશનની ઇવેન્ટમાં ‘ડિરેક્ટર ઑફ ધ યર’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન તેણે જણાવ્યું કે પ્રોડ્યુસર આદિત્ય ચોપડા અને શાહરુખ ખાનને મળવાનું તેના નસીબમાં લખાયેલું હતું. પોતાની કરીઅરનું શ્રેય તે આ બન્નેને આપે છે. ૧૯૯૫માં આવેલી શાહરુખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને આદિત્યએ ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મમાં કરણે નાનકડી ભૂમિકા ભજવી હતી અને સાથે જ એ ફિલ્મને અસિસ્ટ પણ કરી હતી. તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કરણ કહે છે, ‘આદિત્ય ચોપડા અને શાહરુખ ખાનને મળવાનું મારા નસીબમાં પહેલેથી જ લખાયેલું હતું. મારી લાઇફના તેઓ બે અડીખમ પિલર્સ છે. આજે હું જે કાંઈ છું તેમના કારણે છું. તેમણે મારામાં એવી ખાસિયત જોઈ જેનાથી હું પણ અજાણ હતો. હું હંમેશાં તેમનો આભારી રહીશ. હું પહેલાં જેવો જ મારા કામમાં પ્રામાણિક રહ્યો છું. તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને કારણે તમે તમામ પડકારોનો સામનો કરી શકો છો. હું નસીબદાર છું કે સ્ટ્રગલ કરવાનું મારા નસીબમાં મોડેથી આવ્યું હતું. મારી કરીઅરનું પહેલું સ્ટેપ આ બે જણને કારણે શક્ય થયું. તેઓ ન તો મારા બ્લડ રિલેશનમાં છે અને ન તો મારા પરિવારના છે, છતાં તેમણે મારા પર અતૂટ વિશ્વાસ રાખ્યો. નસીબ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ સખત મહેનત વગર કાંઈ નથી મળતું.’