કંગનાને વર્ષે ૩૦-૪૦ કરોડની ખોટ કેમ ગઈ?

18 May, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર ઇલૉન મસ્કનો એક ઇન્ટરવ્યુ શૅર કર્યો છે.

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે તેને વર્ષે ૩૦-૪૦ કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. તેનું કહેવું છે કે પૉલિટિશ્યન્સ, ઍન્ટિ-નૅશનલ્સ અને ટુકડે-ટુકડે ગૅન્ગ સામે અવાજ ઉઠાવવાને કારણે તેને ૨૫ બ્રૅન્ડમાંથી પડતી મૂકવામાં આવી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર ઇલૉન મસ્કનો એક ઇન્ટરવ્યુ શૅર કર્યો છે. આ ઇન્ટરવ્યુમાં ઇલૉન મસ્કે કહ્યું હતું કે મારે જે બોલવું હોય એ હું બોલીશ અને જો એનાથી મારે પૈસા ખોવાનો વારો આવે તો મને એનાથી ફરક નથી પડતો. આ સાથે કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર આવું હોવું જોઈએ. આને ખરી આઝાદી અને સફળતા કહેવાય. હિન્દુ ધર્મના સમર્થનમાં બોલવું, ઍન્ટિ-નૅશનલ્સ, નેતાઓ અને ટુકડે ગૅન્ગનો વિરોધ કરવાને કારણે મને ૨૦-૨૫ બ્રૅન્ડમાંથી રાતોરાત પડતી મૂકવામાં આવી છે. એને કારણે મને વાર્ષિક ૩૦-૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ આ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘જોકે હું આઝાદ છું અને મારે જે કહેવું હોય એ કહેતાં મને કોઈ અટકાવી નહીં શકે. ખાસ કરીને તો મલ્ટિનૅશનલ કંપની અને તેમના કૉર્પોરેટ હેડ તો નહીં જ. આ લોકો ઇન્ડિયાના કલ્ચર અને અખંડિતતાને નફરત કરે છે. હું ઇલૉન મસ્કની પ્રશંસા કરું છું, કારણ કે દરેક વ્યક્તિ નબળાઈઓ જ દેખાડે છે. મારું માનવું છે કે પૈસાદાર વ્યક્તિઓએ પૈસાની પરવા ન કરવી જોઈએ. મેં જોયું છે કે જેટલા વધુ પૈસાદાર એટલા વધુ તેઓ તેમની વૅલ્યુ ખોઈ બેસે છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood kangana ranaut