13 February, 2021 08:58 AM IST | Mumbai | Agency
સલમાન ખાન
સલમાન ખાનને જોધપુર કોર્ટે બ્લૅક બક કેસમાં રાહત આપતાં તેના ફૅન્સે જે પ્રકારે સાથ આપ્યો એ બદલ તેણે સૌનો આભાર માન્યો છે. આ કેસ ૧૯૯૮નો છે જ્યારે ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ દરમ્યાન સલમાન પર બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ વખતે તેની વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને કોર્ટે તેને આર્મ્સ લાઇસન્સ જમા કરવાના આદેશ આપ્યા હતા. જોકે સલમાને જણાવ્યું હતું કે તેનું લાઇસન્સ ગુમ થઈ ગયું છે. એથી તેણે ઍફિડેવિટ જમા કરાવ્યું હતું, પરંતુ બાદમાં જાણ થઈ કે તેનું લાઇસન્સ ખોવાયુ નહોતું; રિન્યુ માટે આપવામાં આવ્યું છે. આ મામલાને લઈને રાજસ્થાન સરકારે એક અપીલ દાખલ કરી હતી. એ અરજીને જોધપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. એથી સલમાનને ઘણી રાહત મળી છે. પોતાને ફૅન્સનો જે સાથસહકાર મળ્યો એ માટે તેણે આભાર માન્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘મારા તમામ ફૅન્સ જેમણે પ્રેમ, સપોર્ટ અને ચિંતા દેખાડી એ બદલ સૌનો આભાર. તમારી અને તમારી ફૅમિલીની કાળજી લો. ગૉડ બ્લેસ ઍન્ડ લવ યુ ટૂ.’