29 June, 2020 10:05 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
તામિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા અને પુત્રનું કથિત રૂપે મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.
તામિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા અને પુત્રનું કથિત રૂપે મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. જયરાજ અને તેના દીકરા ફેનિક્સના ન્યાયને લઈને ઘણાં બોલીવુડ સેલેબ્સ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. આ દરમિયાન સિંઘમ ફિલ્મના નિર્દેશક હરી ગોપાલકૃષ્ણનને આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમણે પાંચ ફિલ્મો બનાવવા પર ખૂબ જ અફસોસ છે, જેમાં પોલીસનું મહિમામંડન કરવામાં આવ્યું છે.
હરી પોતાની તામિલ ફિલ્મ સિંઘમ અને સામી જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ બધી ફિલ્મો કૉપ યૂનિવર્સની છે. ખાસ વાત એ છે કે અજય દેવગન સ્ટારર કૉપ ફિલ્મ સિંઘમ પણ આ તામિલ ફિલ્મની ઑફિશિયલ રિમેક છે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે, હરીએ જયરાજ અને તેમના દીકરા ફેનિક્સના નિધનને લઈને કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ તામિલનાડુમાં બીજીવાર ન થવી જોઇએ. કેટલાક પોલીસ અધિકારીઓને કારણે હવે આખો વિભાગ કલંકિત થયો છે. મને એ વાતનો અફસોસ છે કે મેં પોલીસની શાનમાં પાંચ ફિલ્મ બનાવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ અને તેમના દીકરા ફેનિક્સને 19 જૂનના લૉકડાઉન દરમિયાન મોબાઇલની દુકાન ખોલવા પર પોલીસ દ્વારા પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડી દરમિયાન જ બન્નેના મોત થઈ ગયા. ત્યાર બાદ પોલીસ વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.