જગ્ગા જાસૂસમાં ગોવિંદા નથી એ અમારું નુકસાન છે : અનુરાગ બાસુ

01 July, 2017 05:19 AM IST  | 

જગ્ગા જાસૂસમાં ગોવિંદા નથી એ અમારું નુકસાન છે : અનુરાગ બાસુ

આ ફિલ્મમાં ગોવિંદાને રણબીર કપૂરના પપ્પાનું પાત્ર ઑફર થયું હોવાની વાતો ચાલી હતી અને તેણે એનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. જોકે ગોવિંદાએ ત્યાર બાદ કહી દીધું હતું કે તે આ ફિલ્મનો ભાગ નથી. હાલમાં જ ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા ગોવિંદા, કૅટરિના અને રણબીરના ફોટોને લઈને એવી વાતો ચાલી હતી કે તે આ ફિલ્મમાં જોવા મળશે. જોકે ફિલ્મનું ટ્રેલર ગુરુવારે લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે એમાં ગોવિંદા ન દેખાયો હોવાથી એ કન્ફર્મ થઈ ગયું હતું કે ફિલ્મમાં ગોવિંદા નથી. આ વિશે પૂછવામાં આવતાં અનુરાગ બાસુ કહે છે, ‘મેં આ ફિલ્મના પહેલા શેડ્યુલમાં ગોવિંદા સાથે ઘણા દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. ત્યાર બાદ ફિલ્મની સ્ટોરીમાં બદલાવ કરવામાં આવ્યો તેથી આ ફિલ્મમાં હવે ગોવિંદા નથી. તેમનો પાર્ટ હવે આ ફિલ્મમાં નથી. મેં જ્યારે તેમને આ ફિલ્મમાં નાનકડી ભૂમિકાની ઑફર કરી હતી ત્યારે તેમણે એ સ્વીકારી હતી, જે માટે હું આભારી છું. જોકે ફિલ્મમાં તેઓ નથી એ અમારું નુકસાન છે.’

કિશોરકુમારની બાયોપિકને લગતી કાયદાકીય કાર્યવાહી પૂરી થયા બાદ જ અનુરાગ બાસુ શૂટિંગ શરૂ કરશે

અનુરાગ બાસુનું કહેવું છે કે તે પહેલાં કિશોરકુમારની બાયોપિકની તમામ કાયદાકીય આંટીઘૂંટીને પૂરી કરશે ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને એમાં રણબીર કપૂર કિશોરકુમારનું પાત્ર ભજવશે. આ વિશે પૂછતાં અનુરાગ બાસુ કહે છે, ‘આ એવી ફિલ્મ છે, જેની હું ખૂબ જ રાહ જોઈ રહ્યો છું. પરંતુ કિશોરકુમાર પર બાયોપિક બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. તમે જ્યારે બાયોપિક બનાવી રહ્યા હો ત્યારે ઘણીબધી કાયદાકીય આંટીઘૂંટી હોય છે. તેથી અમે કાયદાકીય કાર્યવાહી પૂરી કરી રહ્યા છીએ. આ કાર્યવાહી પૂરી થયા બાદ જ હું શૂટિંગ શરૂ કરીશ. રણબીર પણ આ ફિલ્મ માટે રાહ જોઈ રહ્યો છે.’