12 May, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મમાં અભિષેક બચ્ચને છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ સંભાજી શહાજી ભોસલેનું પાત્ર ભજવ્યું છે
અભિષેક બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ‘રાજા શિવાજી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ સંભાજી શહાજી ભોસલેનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન રિતેશ દેશમુખે કર્યું છે અને તેણે જ મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મમાં રિતેશ અને અભિષેક ઉપરાંત વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ અને સલમાન ખાન જેવા સ્ટાર્સ પણ છે. ચર્ચા છે કે આ ફિલ્મ માટે અભિષેક સહિત ઘણા સ્ટાર્સે કોઈ ફી લીધી નથી. હવે આ ચર્ચા પર ખુદ અભિષેકે સ્પષ્ટતા કરી છે.
હાલમાં એક વાતચીત દરમ્યાન અભિષેકે કહ્યું કે ‘આજકાલ રીલ્સમાં ફૅક્ટ્સ અને ફિગર્સની ચર્ચા થાય છે અને લોકોને કલાકારોની ફી, વૅનની ડિમાન્ડ જેવી વાતોમાં મજા આવે છે પરંતુ અંતે આ એક આર્ટ-ફૉર્મ છે. એવું આર્ટ-ફૉર્મ જે દિલમાંથી શરૂ થાય છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ પર સાચો વિશ્વાસ હોય ત્યારે પૈસા અને સુવિધાઓનો કોઈ અર્થ રહેતો નથી. મારા માટે અભિનય એક ભાવનાત્મક જોડાણ છે. પ્રેરણા જ કલાની સાચી શરૂઆત છે. આ કારણે જ મેં ફી નથી લીધી. મરાઠી સિનેમામાં પહેલાં ક્યારેય આટલા મોટા સ્કેલ પર ફિલ્મ બની નથી. હું રિતેશ અને જેનેલિયાને મારા પરિવારથી અલગ માનતો નથી. તેઓ ખૂબ જ સરળ, જમીન સાથે જોડાયેલાં અને વિશ્વાસપાત્ર મિત્રો છે. હું મુંબઈમાં મોટો થયો હોવાથી મને મરાઠી ભાષાની ઓળખ હતી પરંતુ સ્ક્રીન પર પહેલી વાર મરાઠી બોલતો હતો એટલે થોડો નર્વસ હતો.’