સંજુબાબા માટે હૃતિકે તૈયાર કર્યો અગ્નિપથ

02 December, 2011 08:17 AM IST  | 

સંજુબાબા માટે હૃતિકે તૈયાર કર્યો અગ્નિપથ



લગભગ એક વર્ષ પહેલાં હૃતિક રોશને ધૂમ્રપાન છોડ્યું હતું અને હવે તે પોતાના અંગત માણસોને પણ સિગારેટ છોડવા માટે પ્રેરિત કરી રહ્યો છે. રવિવારે તેની આગામી ફિલ્મ ‘અગ્નિપથ’ની રીમેકના શૂટિંગમાં તેણે સંજય દત્તને પણ આ કુટેવ છોડી દેવા માટે મદદ કરતી ઍલન કાર લિખિત બુક ‘ધ ઈઝી વે ટુ સ્ટૉપ સ્મોકિંગ’ આપી હતી. કહેવામાં આવે છે કે આ બુકની મદદથી જ હૃતિકે પોતાના દીકરાઓ રેહાન અને રિધાન માટે સ્મોકિંગ છોડ્યું હતું.

ખબરો અનુસાર સંજય દત્ત પણ તેનાં જોડિયાં બાળકો શાહરાન અને ઇકરા સામે ધૂમ્રપાન કરવાનું ટાળતો રહે છે. આ વાત બન્ને કલાકારોએ શૂટિંગ વચ્ચેના ફ્રી સમય દરમ્યાન કરી હતી. હૃતિકે તરત જ પોતાના અનુભવો સંજુબાબાને કહ્યા હતા અને પોતે મદદ કરવા માગે છે એવું કહ્યું હતું. હૃતિકે સંજય દત્તને એ પણ કહ્યું હતું કે નેક્સ્ટ શેડ્યુલમાં તે આ બુક સંજુબાબા માટે લઈ આવશે. સંજય દત્ત જ્યારે બીજી વખત શૂટિંગ માટે આવ્યો ત્યારે હૃતિકે તેને આ બુક આપી હતી.

સંજય લીલા ભણસાલીના દિગ્દર્શન હેઠળની ‘ગુઝારિશ’ માટે હૃતિકે સ્મોકિંગ શરૂ કર્યું હતું અને ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તે આ આદતનો બંધાણી થઈ ગયો હતો. જોકે ત્યાર પછી આ બુકની મદદથી તેણે ધૂમ્રપાનની આદત છોડી હતી. જોકે હૃતિકને આ કુટેવ છોડવામાં વાર પણ લાગી હતી. જોઈએ હવે હૃતિક પોતાના પ્રિય મિત્ર શાહરુખ ખાનને આ રીતે જ બુક આપે છે કે નહીં.