07 October, 2020 08:41 PM IST | Mumbai | Mumbai Correspondent
હર્ષવર્ધન રાણે
હર્ષવર્ધન રાણે કોરોના-પૉઝિટિવ આવતાં તેણે પોતાને ૧૦ દિવસ માટે આઇસોલેટ કરી દીધો છે. હર્ષવર્ધને ટ્વિટર પર એ ન્યુઝ આપ્યા હતા. તે હાલમાં બિજૉય નામ્બિયારની ‘તૈશ’માં પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા, નેહા શર્મા, ઝોયા મોરાની, જિમ સરભ અને સંજીદા શેખ સાથે કામ કરી રહ્યો છે. તેને તાવ અને પેટમાં દુખાવો ઊપડ્યો હતો. એક નોટ શૅર કરવાની સાથે તેણે ટ્વીટ કર્યું હતું કે કોરોના-પૉઝિટિવ આવ્યો છું. આ નોટમાં હર્ષવર્ધન રાણેએ લખ્યું હતું, ‘કેમ છો. મને તાવ અને પેટમાં દુખાવો હતો. હું હૉસ્પિટલમાં આને માટેનો ઓપિનિયન લેવા માટે ગયો હતો. તેમણે કહ્યું હતું કે આ વાઇરલ ફીવર હોઈ શકે, કારણ કે મારાં ફેફસાં ખૂબ જ હેલ્ધી હતાં અને મને કોઈ સિમ્પ્ટમ્સ પણ નહોતાં. મેં આને માટે કોવિડ-ટેસ્ટ કરાવી હતી જેથી શાંતિ મળે. મારી આરોગ્ય સેતુ ઍપ કહે છે કે હું હવે કોવિડ-પૉઝિટિવ છું. આથી હું હવે ૧૦ દિવસ માટે આઇસોલેટ થઈ રહ્યો છે. મારી પાસે તમને જણાવવા માટે ગુડ ન્યુઝ હતા, પરંતુ હવે ૧૦ દિવસ રાહ જોવી પડશે. જલદી સારા સમાચાર સાથે તમને મળીશ. મહેરબાની કરીને મને વૉટ્સઍપ યુનિવર્સિટીની રેમેડીઝ ન મોકલતા, એના કરતાં તમારો પ્રેમ ‘તૈશ’ની ટીમને મોકલજો.’