ફ્લૉપ કમબૅક બાદ પણ ગોવિંદા હકીકત સ્વીકારવા તૈયાર નથી?

16 December, 2014 06:08 AM IST  | 

ફ્લૉપ કમબૅક બાદ પણ ગોવિંદા હકીકત સ્વીકારવા તૈયાર નથી?


ઍક્ટર ગોવિંદાની એક પછી એક બે ફિલ્મો ‘કિલ દિલ’ અને ‘હૅપી એન્ડિંગ’ બૉક્સ-ઑફિસ પર ખાસ કાંઈ ઉકાળી નથી શકી, પરંતુ તે કદાચ આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. આ ફિલ્મોને પોતાની કમબૅક ફિલ્મો ગણાવીને ગોવિંદા હવે જ્યોતિષીની દૃષ્ટિએ બેસ્ટ હોય એવા નવા પ્રોજેક્ટ્સ પોતાની કિંમતે કરવા માગે છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તાજેતરમાં એક પ્રોજેક્ટ માટે ગોવિંદાએ જે કિંમત કહી એ સાંભળીને પ્રોડ્યુસર ભડકી ગયો હતો. ઍક્ટરે એવું કહ્યું હતું કે ‘આ બન્ને ફિલ્મોમાં મારા કામનાં ભરપૂર વખાણ થયાં છે. ફિલ્મનો સબ્જેક્ટ પ્રોડ્યુસરો પોતાની મેળે અને બિઝનેસને ધ્યાનમાં રાખીને નક્કી કરતા હોય છે એમાં ઍક્ટરનું કંઈ જ ન ચાલે.’ એવી પણ વાતો થાય છે કે ગોવિંદાની કમબૅક કરીઅર પાટે ચડાવવા ફરીથી સલમાન ખાને એક મોટા પ્રોજેક્ટ માટે ગોવિંદાની ભલામણ કરી છે. જોકે ગોવિંદાએ કહ્યું હતું કે એ વાત સાચી નથી.

લગભગ બે મહિના પહેલાં એવી ચર્ચા હતી કે મહેશ માંજરેકરની ૨૦૧૦ની મરાઠી ફિલ્મ ‘શિક્ષણાચ્યા આયચા ઘો’ની સલમાનની રીમેકમાં કામ કરવાની ગોવિંદાએ ના પાડી હતી. સલમાન એવું ઇચ્છતો હતો કે ગોવિંદા આ ફિલ્મમાં કામ કરે. એ માટે ગોવિંદાને અનુકૂળ પડે એ રીતે સ્ક્રિપ્ટમાં થોડા ફેરફારો પણ કરાયા હતા, પરંતુ ગોવિંદા આ ફિલ્મમાં કામ કરવા તૈયાર જ નહોતો થયો.