23 November, 2022 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિરોઝ નડિયાદવાલા
‘હેરાફેરી 3’ને લઈને ચાલી રહેલા વિવાદ બાદ હવે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ‘આવારા પાગલ દીવાના 2’ અને ‘વેલકમ 3’ને અક્ષયકુમાર વગર જ બનાવવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. અક્ષયકુમારની એક વાતથી ફિરોઝ નડિયાદવાલા નારાજ હોવાની ચર્ચા છે. અક્ષયકુમારે ‘હેરાફેરી 3’ માટે ૯૦ કરોડ ફી સાથે પ્રૉફિટમાં પણ અમુક શૅર માગ્યો હોવાની વાતો ચાલી હતી એથી તેને પોતાની ફી ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વાત જામી નહીં. જોકે આમ છતાં ફિરોઝ નડિયાદવાલાએ અક્ષયકુમારને મનાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ એ નિષ્ફળ ગયા હતા એથી આ ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી થઈ છે અને એ માટે તેને ૩૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. જોકે અક્ષયકુમારે એમ જણાવ્યું કે તેને ‘હેરાફેરી 3’ની સ્ક્રિપ્ટ ગમી નથી એથી તેણે એ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. તેની આ વાત ફિરોઝ નડિયાદવાલાને પસંદ નથી પડી અને આ જ કારણ છે કે તેમણે હવે અન્ય કૉમેડી ફ્રૅન્ચાઇઝીને અક્ષયકુમાર વગર જ બનાવવાનો ફેંસલો કરી લીધો છે.