બંગલો આગમાં ખાખ થયા પછી બોની-શ્રીદેવીએ હવે નવું ઘર શોધવા માંડ્યું

23 December, 2013 06:49 AM IST  | 

બંગલો આગમાં ખાખ થયા પછી બોની-શ્રીદેવીએ હવે નવું ઘર શોધવા માંડ્યું


બંગલો સળગી ગયો હોવાથી અને જ્યાં સુધી એનું રિનોવેશન ન થાય ત્યાં સુધી એમાં રહી શકવાની શક્યતા નહીંવત્ હોવાથી બોની અને શ્રીદેવીએ નવા ઘરની શોધખોળ શરૂ કરવી પડી છે. નવું ઘર મળશે એટલે બોની-શ્રીદેવી પોતાની બન્ને દીકરીઓ જાનવી અને ખુશી સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ જશે.

બંગલામાં પારાવાર નુકસાન થયું છે જે રિપેર થતાં મહિનાઓ નીકળી જશે. આગ પછી એ ઘરમાં રહેવું શક્ય ન હોવાથી બોની અને તેની ફૅમિલી રાત રોકાવા માટે સંજય કપૂરના ઘરે ગયાં હતાં પણ સંજયનું ઘર નાનું હોવાથી ત્યાં લાંબો સમય રહી શકાય એમ ન હોવાથી બોનીએ નવું ઘર તાત્કાલિક શોધી લેવું પડશે.

શ્રીદેવીના બેડરૂમના ઍર-કન્ડિશનરમાં થયેલી શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. આગની ખબર પડતાં શ્રીદેવીએ સમયસૂચકતા વાપરી ઘરની મેઇન સ્વિચ ઑફ કરી દીધી હતી, જેને કારણે આગ ઘરના બાકીના વિસ્તારમાં નહોતી ફેલાઈ શકી. આગ લાગી ત્યારે શ્રીદેવી, તેની સાસુ અને બન્ને દીકરીઓ ઘરમાં જ હતી; પણ તેમને કોઈને ઈજા નહોતી થઈ. જોકે આર્થિક નુકસાન ઘણું થયું છે.

આગમાં શ્રીદેવીનો આખો વૉર્ડરોબ ખાખ થઈ ગયો છે. શ્રીદેવીને આર્ટ-કલેક્શનનો જબરદસ્ત શોખ છે અને આગમાં એ કલેક્શન સળગી ગયું છે. આ કલેક્શનમાં શ્રીદેવીનાં પેઇન્ટિંગ્સ પણ સળગી ગયાં છે, જેમાં તેણે બનાવેલા માઇકલ જૅક્સનના પેઇન્ટિંગનો પણ સમાવેશ છે. આ ઘરમાં તાત્કાલિક કંઈ થઈ શકે એમ ન હોવાથી અત્યારના તબક્કે તો કપૂરપરિવારને બીજા ઘરમાં શિફ્ટ થવા સિવાય છૂટકો નથી.

- ભારતી દુબે