29 October, 2023 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરીઓના બર્થ સર્ટિફિકેટમાં ધર્મના સેક્શનમાં ‘નૉટ ઍપ્લિકેબલ’ લખાવ્યું છે ફરહાન અખ્તરે
ફરહાન અખ્તરે તેની બે દીકરીઓ શાક્યા અને અકીરાનાં બર્થ સર્ટિફિકેટના ધર્મના સેક્શનમાં ‘નૉટ ઍપ્લિકેબલ’ લખાવ્યું છે. આ વાત ફરહાનના પિતા જાવેદ અખ્તરે કહી છે, જેને એક ઉત્તમ ઉદાહરણ માની શકાય. ફરહાનનું કહેવું છે કે બાળકો એ નથી શીખતાં જે તમે તેમને શીખવાડવા માગો છો. તેઓ એ જ કરશે જે તેમનાં માતા-પિતાને કરતાં જોશે. એ વિશે જાવેદ અખ્તરે કહ્યું કે ‘મને નથી લાગતું કે તમે બોધપાઠ કોઈ ક્રૅશ કોર્સની જેમ કરી શકો છો. મારું એવું માનવું છે કે બાળકો એ જ બાબત શીખે છે જે તેનાં માતા-પિતાને કરતાં જુએ છે. બાળકો એ નહીં શીખે જે તેમને શીખવાડવામાં આવે છે. બાળકો જુએ છે કે તેનાં માતા-પિતા જીવનમાં કઈ બાબતને મહત્ત્વ આપે છે. મારાં બાળકો પણ એ જ શીખ્યાં જે તેમણે અમને કરતાં જોયાં. મારાં બન્ને બાળકો ઝોયા અને ફરહાન ધર્મમાં વિશ્વાસ નથી રાખતાં. તે બન્ને નાસ્તિક છે. ફરહાને તો તેની બન્ને દીકરીઓનાં બર્થ સર્ટિફિકેટમાં ધર્મના સેક્શનમાં ‘નૉટ ઍપ્લિકેબલ’ એમ લખાવ્યું છે.’