એકતા કપૂરની દશેરામાં શ્રદ્ધા

14 October, 2011 09:16 PM IST  | 

એકતા કપૂરની દશેરામાં શ્રદ્ધા

ફિલ્મનું મુરત પહેલાં દશેરાના પછીના દિવસે કરવાનું હતું અને એ કારણે જ શૂટિંગ પણ એ જ દિવસે શરૂ થવાનું હતું. જોકે એકતા કપૂરે દશેરાના દિવસને વધુ મહત્વ આપવાનું વિચારી ફિલ્મનું મુરત અને શૂટિંગ એ દિવસે કરાવડાવ્યું હતું.

અભય દેઓલ અને જેનિલિયા ડિસોઝા સાથે ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં ૭ ઑક્ટોબરે શરૂ કરવાનો નર્ણિય પહેલાં ડિરેક્ટર નવદીપ સિંહ (‘મનોરમા સિક્સ ફીટ અંડર’ના ડિરેક્ટર) દ્વારા લેવામાં આવ્યો હતો. તેને હતું કે નવરાત્રિ અને દશેરાની પૂજા પછી જ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય. જોકે એકતા કપૂર દશેરામાં ઘણું માને છે અને એ કારણે જ તેણે શેડ્યુલમાં ફેરફારો કરાવ્યા હતા અને મુરતની પૂજા અને ફિલ્મનો પહેલો શૉટ એક દિવસ વહેલો લેવડાવ્યો હતો.

બાલાજી મોશન પિક્ચર્સના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) તનુજ ગર્ગ આ કિસ્સાથી સહમત થતાં કહે છે કે એકતાની જ ઇચ્છા હતી કે શુભ દિવસે જ શુભારંભ થાય અને એટલે જ દશેરાના દિવસે નવદીપે કૅમેરા રોલ કર્યો હતો અને જેનિલિયાએ મુરત શૉટની પહેલી ક્લૅપ આપી હતી.