26 January, 2021 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત (Padmaavat)એ રિલીઝના 3 વર્ષ પૂર્ણ કર્યા છે. ફિલ્મના ત્રણ વર્ષ પૂરા થવા પર 25 જાન્યુઆરીએ સંજય લીલા ભણસાલી, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શૅર કરી હતી, જેના માધ્યમથી ત્રણેય લોકોએ ફિલ્મથી સંકળાયેલી કેટલીક અજાણી વાતો શૅર કરી હતી. હવે દિગ્દર્શકે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની સાથે બનેલી એક ઘટનાને યાદ કરી છે અને જણાવ્યું કે જ્યારે તેની સાથે આ ઘટના બની હતી ત્યારે તેમને કઈ વસ્તુનો ડર લાગી રહ્યો હતો.
તમને યાદ હશે 'જયપુર'માં 'પદ્માવત'ના શૂટિંગ દરમિયાન કરણી સેનાના કેટલાક કાર્યકરોએ સંજય લીલા ભણસાલી પર હુમલો કર્યો હતો, તેમની સાથે લડાઈ પણ કરી હતી અને સેટ પર તોડફોડ કરી હતી. આ સમગ્ર દુર્ઘટના બાદ બૉલીવુડ દિગ્દર્શકના સમર્થનમાં ઉભા રહ્યા હતા અને બધાએ કરણી સેનાની ટીકા કરી હતી. આ દરમિયાન આ આખી ઘટનાની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. 2018માં પોતાની સાથે થયેલા આ હુમલા પર હવે સંજય લીલા ભણસાલીએ નિવેદન આપ્યું છે.
સ્પૉટબોયના સમાચાર અનુસાર દિગ્દર્શકે કહ્યું, તે ગાંડપણ હતું, આ સમગ્ર પ્રકરણ દરમિયાન મને મારી માતાને લઈને ઘણો ડર લાગી રહ્યો હતો. હું મારી માતાને કારણે ચિંતિત હતો. પરંતુ મને આ જોઈને ઘણી ખુશી થઈ રહી હતી તે તેઓ મારી સાથે છે. હું જાણતો ન હતો કે તેમના વિના હું કેવી રીતે રહી શકીશ. તે સતત બોલી રહી હતી 'મારા પુત્ર સાથે આવું કેમ થઈ રહ્યું છે, તે આટલી સારી ફિલ્મો બનાવે છે'. તે સમયે મારી માતા મારા માટે શક્તિ હતી.
આગળ ભણસાલીએ કહ્યું, 'પરંતુ આટલું થયા બાદ પણ મેં ક્યારેય હાર માની નહોતી, ક્યારે નહીં. દરેક વખતે જ્યારે મારા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે મેં મારી પીડાને વધુ સારી રીતે કામ કરવાની પ્રેરણા તરીકે ઉપયોગ કર્યો. પણ મેં મારી તમામ ચિંતા ફિલ્મ બનાવવામાં લગાવી દીધી હતી.'