સંજય ગુપ્તાને શાહરુખ કરતાં અતુલ અગ્નિહોત્રીમાં વધુ ટૅલન્ટ દેખાઈ હતી!

03 February, 2020 03:01 PM IST  |  Mumbai | Ashu Patel

સંજય ગુપ્તાને શાહરુખ કરતાં અતુલ અગ્નિહોત્રીમાં વધુ ટૅલન્ટ દેખાઈ હતી!

સંજય ગુપ્તા

સંઘર્ષના દિવસો દરમ્યાન એક વખત શાહરુખ ખાનને ખબર પડી કે નવોદિત ડિરેક્ટર સંજય ગુપ્તા સંજય દત્તને લઈને ‘આતિશ’ ફિલ્મ બનાવી રહ્યા છે અને એમાં બે હીરોનો રોલ છે, એટલે સંજય દત્તની સાથે સેકન્ડ લીડમાં એક બીજો ઍક્ટર હશે. એટલે શાહરુખ ખાન સંજય ગુપ્તા પાસે પહોંચી ગયો. તેણે સંજય ગુપ્તાને વિનંતી કરી કે મને તમારી આ ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ આપો. તમે મારા પર વિશ્વાસ મૂકશો તો હું ખાતરી આપું છું કે હું તમારી ધારણા કરતાં સારો પર્ફોર્મન્સ આપીશ. 

એ વખતે સંજય ગુપ્તાએ શાહરુખને કહ્યું કે ‘મેં ઑલરેડી આ રોલ મારા ફ્રેન્ડ અતુલ અગ્નિહોત્રીને આપી દીધો છે. એટલે હું આ રોલ તને નહીં આપી શકું. શાહરુખ નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો હતો.

શાહરુખ એ વખતે ‘ફૌજી’ અને ‘સર્કસ’ જેવી ટીવી-સિરિયલમાં અભિનય કરી ચૂક્યો હતો.

શાહરુખ ખાન હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હીરો બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો એ વખતની આ વાત છે. એ વખતે શાહરુખ કેટલાબધા ફિલ્મ-ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસરની ઑફિસનાં પગથિયાં ઘસી ચૂક્યો હતો. શાહરુખને ઘણી બધી જગ્યાથી જાકારો મળ્યો હતો. મોટા ભાગના લોકોને તેનામાં દમ લાગતો નહોતો.

શાહરુખ ખાને આવાં તો ઘણાં રિજેક્શન્સ સહન કર્યાં હતાં. શાહરુખ ખાનના સંઘર્ષના દિવસો દરમ્યાન તે જાણીતા ફિલ્મમેકર્સ અઝીઝ મિર્ઝા, સઈદ મિર્ઝા અને કુંદન શાહની ઑફિસમાં જોવા મળતો. કુંદન શાહ, સઈદ મિર્ઝા અને કુંદને શાહરુખને સંઘર્ષના સમયમાં ખૂબ હૂંફ આપી હતી અને તેની કરીઅર પાટે ચડે એ માટે મદદ પણ કરી હતી.

એ સમયે શાહરુખ પાસે કામ નહોતું એટલે તે ‘જાને ભી દો યારોં’ ફિલ્મ થકી વિખ્યાત બનેલા કુંદન શાહ અને અઝીઝ-સઈદ મિર્ઝાની ઑફિસ જે બિલ્ડિંગમાં હતી એ કમ્પાઉન્ડમાં મિત્રો-પરિચિતો સાથે ક્રિકેટ રમતો. એ વખતે તેની સાથે તેનો મુંબઈમાં જે લોકો સાથે પરિચય થયો હતો, દોસ્તી બંધાઈ હતી એમાં અત્યારના જાણીતા ફિલ્મ રાઇટર-ડિરેક્ટર સંજય છેલનો પણ સમાવેશ હતો. 

શાહરુખ માટે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ‘યસ બૉસ’ અને ‘બાદશાહ’ જેવી ફિલ્મો લખી ચૂકેલા સંજય છેલ ‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે વાત કરતાં કહે છે કે ‘યસ, શાહરુખ અને હું ઘણી વાર સાથે ક્રિકેટ રમ્યા છીએ. એ વખતે તેનામાં કશુંક કરી બતાવવાનું ઝનૂન હતું અને તે કહેતો કે એક ચાન્સ મળે તો હું મારી ટૅલન્ટ પુરવાર કરી બતાવીશ. તેને સફળતા મળી એ પછી પણ તેણે જૂના દોસ્તો-પરિચિતોને યાદ રાખ્યા. અમે સાથે અનેક ફિલ્મો કરી.’

શાહરુખના જીવનની આવી તો ઘણીબધી ઘટનાઓ બની છે એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

sanjay gupta atul agnihotri Shah Rukh Khan bollywood news entertaintment