ધુરંધર : ધ રિવેન્જની સક્સેસ પાર્ટીમાં અક્ષય ખન્નાની ગેરહાજરી બની ચર્ચાસ્પદ

22 March, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સંજોગોમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સક્સેસ-પાર્ટીમાં તેની ગેરહાજરી ફૅન્સ માટે ભલે આશ્ચર્યજનક લાગી હોય, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેના સ્વભાવને ધ્યાનમાં લેતાં આ વાત નૉર્મલ માનવામાં આવી રહી છે.

અક્ષય ખન્ના

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. આ સફળતાની ઉજવણી કરવા માટે એક ગ્રૅન્ડ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ના કલાકારોએ હાજરી આપી હતી પણ આ તમામ કલાકારોની હાજરી વચ્ચે રહમાન ડકૈતનો રોલ કરનાર અક્ષય ખન્નાની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. આ સક્સેસ-પાર્ટીમાં અક્ષય ખન્નાનાં ગેરહાજર રહેવાનાં કારણ સામે આવ્યાં છે અને આ પાછળ કોઈ વિવાદ નહીં પરંતુ એનો સ્વભાવ અને ફિલ્મની સ્ટોરી બન્ને જવાબદાર છે. હકીકતમાં ફિલ્મના પહેલા ભાગમાં જ તેના પાત્રનો અંત આવી જાય છે એટલે બીજા ભાગમાં તેની હાજરી ખૂબ જ મર્યાદિત છે. આ કારણે તેણે ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. આ સાથે જ અક્ષય ખન્નાનો સ્વભાવ પણ થોડો રિઝર્વ માનવામાં આવે છે. તે પાર્ટીઓ, અવૉર્ડ-શોઝ અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને આ કારણે તેણે પહેલા ભાગની સક્સેસ-પાર્ટીમાં પણ હાજર રહેવાનું ટાળ્યું હતું. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ફિલ્મ સુપરહિટ બન્યા બાદ પણ અક્ષય ખન્નાએ કોઈ ખાસ પબ્લિક સેલિબ્રેશન કર્યું નહીં. તે લાઇમલાઇટથી દૂર રહીને પોતાના કામ અને નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરે છે. આ સંજોગોમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સક્સેસ-પાર્ટીમાં તેની ગેરહાજરી ફૅન્સ માટે ભલે આશ્ચર્યજનક લાગી હોય, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેના સ્વભાવને ધ્યાનમાં લેતાં આ વાત નૉર્મલ માનવામાં આવી રહી છે.

ધુરંધર : ધ રિવેન્જને કારણે કૅનેડાના દર્શકોને પહેલી વખત મળ્યો ઇન્ટરવલ માણવાનો અનુભવ

‘ધુરંધર : ધ રિવેન્જ’ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ નવી ચર્ચા ઊભી કરી રહી છે. રણવીર સિંહ સ્ટારર આ લગભગ ૪ કલાક લાંબી ફિલ્મના કૅનડામાં થયેલા સ્ક્રીનિંગ દરમ્યાન એક અનોખી ઘટના જોવા મળી. અહીં દર્શકોને પહેલી વાર ઇન્ટરવલનો અનુભવ થયો જે સામાન્ય રીતે ત્યાંનાં થિયેટર્સમાં આપવામાં આવતો નથી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળે છે કે ફિલ્મ વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન દર્શકો પોતાની સીટમાંથી ઊભા થઈને બહાર નીકળ્યા, વાતચીત કરી અને આ ઇન્ટરવલને આનંદથી માણતા નજરે આવ્યા. ઘણા લોકો માટે આ એક નવી અને રસપ્રદ અનુભૂતિ હતી. એક દર્શકે પોતાનો અનુભવ શૅર કરતાં લખ્યું છે કે ૨૦ વર્ષથી વધુ સમયથી તેણે કૅનેડાના થિયેટરમાં ક્યારેય આવો ઇન્ટરવલ નથી માણ્યો. ઘણા યુઝર્સે લખ્યું કે ઇન્ટરવલ ભારતીય સિનેમાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જ્યાં ડિરેક્ટર સ્ટોરીને એક ખાસ ટર્ન આપી શકે છે.

કૅનેડાના મૉ​ન્ટ્રિયલમાં બની સ્ક્રીન તોડી નાખવાની ઘટના

‘ધુરંધર : ધ રિવેન્જ’ ભારતની સાથે-સાથે વિદેશમાં પણ સારો પર્ફોર્મન્સ આપી રહી છે. આ સંજોગમાં કૅનેડાના મૉ​ન્ટ્રિયલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ વિડિયોમાં જોવા મળે છે કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન કેટલાક લોકોએ સિનેમાઘરની સ્ક્રીન તોડી નાખી હતી. એના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસે વચ્ચે પડવું પડ્યું અને વિડિયોમાં પોલીસ-અધિકારીઓ ઑડિટોરિયમમાં પ્રવેશ કરીને લોકોને શાંત કરતા જોવા મળે છે. આ પ્રકારની ઘટના પહેલાં પણ એક અન્ય સિનેમાઘરમાં બન્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે બાદમાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

dhurandhar canada akshaye khanna bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news