06 April, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્યે જણાવ્યું કે વિકાસ નૌલખા ફિલ્મ સાથે ખૂબ મોડો જોડાયો હતો
નિર્દેશક આદિત્ય ધર હાલમાં પોતાની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે. આ ભારે સફળતા વચ્ચે આદિત્ય ધરે ફિલ્મના સિનેમૅટોગ્રાફર વિકાસ નૌલખાને ફિલ્મનો આત્મા ગણાવીને ખાસ વખાણ કર્યાં છે.
ગઈ કાલે આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર બિહાઇન્ડ-ધ-સીન્સ તસવીરો શૅર કરી, જેમાં વિકાસ નૌલખા કૅમેરા પાછળ કામ કરતો જોવા મળ્યો. આ તસવીરો સાથે આદિત્યે ઇમોશનલ ગણાવીને વિકાસની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી. આદિત્યે જણાવ્યું કે વિકાસ નૌલખા ફિલ્મ સાથે ખૂબ મોડો જોડાયો હતો, પરંતુ તેનું જોડાવું જાણે ભાગ્યનો સંયોગ હતો.
આદિત્ય ધરે યાદ કરતાં કહ્યું કે ‘સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ વિકાસ નૌલખાએ કહ્યું હતું કે તે છેલ્લાં ૩૦ વર્ષથી આવી ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો અને એમાં પોતાનું સર્વસ્વ આપી દેશે. મુશ્કેલ શૂટિંગ શેડ્યુલ, અમ્રિતસરની ગરમી અને લેહની ઠંડી વચ્ચે પણ તેણે ક્યારેય પોતાની પકડ ન ગુમાવી. વિકાસ નૌલખાની ખાસિયત માત્ર તેની મહેનત નથી, પરંતુ તેના દૃષ્ટિકોણમાં રહેલી આત્મા, વિગતો પર ધ્યાન અને દૃશ્યોની લાગણીને સમજવાની ક્ષમતા છે જેના કારણે ફિલ્મની દરેક ફ્રેમમાં જીવંતપણું અનુભવાય છે.’