23 March, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરે ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. સેલિબ્રિટીઝ પણ ફિલ્મ અને આદિત્ય ધરની પ્રશંસા કરવામાં પાછળ નથી. હવે અનુપમ ખેરે પણ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
અનુપમ ખેરે એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે ‘ધુરંધર : ધ રિવેન્જ’એ તેમના પર કેટલો ઊંડો પ્રભાવ પાડ્યો છે. સાથે જ તેમણે ફિલ્મને ‘પ્રૉપગૅન્ડા’ કહેતા લોકો પર પણ કડક પ્રતિક્રિયા આપી હતી. પોતાના વિડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘મને એવા લોકો માટે ખૂબ દુઃખ અને દયાની લાગણી થાય છે જેઓ આ ફિલ્મને પ્રૉપગૅન્ડા કહી રહ્યા છે. શરૂઆતમાં મને ગુસ્સો આવતો હતો, કારણ કે તેમણે ‘કશ્મીર ફાઇલ્સ’, ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ને પ્રૉપગૅન્ડા ફિલ્મો કહી હતી. જોકે આવી ફિલ્મોને પ્રૉપગૅન્ડા કહેવું શરમજનક છે. જો તમે આવી ફિલ્મો સહન નથી કરી શકતા તો તમે ખુદ ફિલ્મ બનાવો. આ એક એવી ફિલ્મ છે જેમાં આધુનિક ભારતને દર્શાવવામાં આવ્યું છે. આદિત્ય ધર એક રૉકસ્ટાર છે અને ફિલ્મ અદ્ભુત છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ અંત સુધી દર્શકોને જકડી રાખે છે અને એની લાગણી શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આ ફિલ્મ ઇમોશનલ અને સિનેમૅટિક સ્ટ્રેન્ગ્થ સાથે આગળ વધે છે. ફિલ્મમાં સંજય દત્તે જબરદસ્ત અભિનય કર્યો છે. આ એવી ફિલ્મ છે જે ગર્વ અને જોડાણનો અહેસાસ કરાવે છે. આ ફિલ્મ જોવી, એને અનુભવવી અને એના વિશે ચર્ચા કરવી ખરેખર સાર્થક છે. જય હિન્દ.’