28 March, 2020 05:18 PM IST | Mumbai | Agencies
રિશી કપૂર
રિશી કપૂરે દેશમાં ઇમર્જન્સી લાગુ કરવાની વાત કરતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દેશમાં કોરોના વાઇરસને જોતાં ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉન છતાં પણ બહાર નીકળતા લોકો સામે પોલીસે સખ્તાઈથી કામ કરવું પડી રહ્યું છે. એને જોતાં પોતાના વિચાર વ્યક્ત કરતાં ટ્વિટર પર રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘મારા ભારતીય મિત્રો. આખા દેશમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એને જોતાં આપણે દેશમાં ઇમર્જન્સી લાગુ કરી દેવી જોઈએ. ટીવીના સમાચારો પર નજર દોડાવવીએ તો લોકો પોલીસ અને મેડિકલ સ્ટાફને મારી રહ્યા છે. એથી આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આપણી પાસે આ જ એક ઉપાય છે. આ આપણા સારા માટે જ છે. દહેશત વધી રહી છે.’
જોકે સોશ્યલ મીડિયા યુઝર્સને તેમનું આ ટ્વીટ પસંદ નથી પડ્યું. યુઝર્સ તેમની ખાસ્સી નિંદા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે કેવી રીતે ઇમર્જન્સીથી આ સ્થિતિ પર કાબૂ મેળવી શકાશે અને લૉકડાઉનથી નહીં.
તો અન્ય યુઝરે લખ્યું કે સર આ એટલું સરળ નથી. આપણી પાસે ગરીબોના પોષણ માટે કોઈ નક્કર યોજનાઓ નથી.
તો અન્ય યુઝરે લખ્યું કે થૅન્ક યુ, શું મુંબઈના લોકો તેમના ઘરની બહાર ૭૦ મીટર ઊંચી દીવાલ બાંધી શકે છે જેથી રિશી કપૂરને ખુશી મળે? સાથે જ ઇમર્જન્સી જેવો અનુભવ લઈ શકે.