09 April, 2020 04:15 PM IST | New Delhi | Agencies
વરુણ ધવન
દેશમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિમાં જે લોકો ઘરવિહોણા અને બેરોજગાર બન્યા છે તેમની મદદ કરવા માટે વરુણ ધવને હાથ આગળ વધાર્યો છે. સાથે જ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ વર્તમાનમાં લોકોની નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યાં છે તેમને પણ વરુણ ભોજન પૂરું પાડવાનો છે. આજે અનેક લોકો ગરીબ અને રોજનું કમાઈને ખાતા લોકોની મદદે આવ્યા છે. સાથે જ સરકારને પણ આર્થિક મદદ કરી રહ્યા છે. વર્તમાન સ્થિતિ વિશે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉનના જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ મને એ લોકોની ચિંતા વધી રહી છે જેમની પાસે ઘર નથી. એથી મેં નક્કી કર્યું છે કે આ અઠવાડિયે હું એ ગરીબ, ઘર અથવા તો બેરોજગાર છે તેમને જમવાનું પૂરું પાડીશ. સાથે જ જે લોકો યુદ્ધના ધોરણે પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા કરી રહ્યા છે હું એ લોકોની પણ ખૂબ પ્રશંસા કરું છું. હું ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને હૉસ્પિટલમાં ભોજન પૂરું પાડીશ. તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટ આ ભોજન બનાવશે. આ એક નાનકડી પહેલ છે, પરંતુ સંકટની આ સ્થિતિને જોતાં દરેક નાનામાં નાની મદદ અગત્યની હોય છે. હું મારા તરફથી જે બની શકશે એ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરીશ. વરુણ ધવન.’