28 March, 2020 08:45 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર
કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે આખા દેશમાં લૉકડાઉન છે એવામાં જરૂરિયાતમંદ લોકોની સહાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે pm cares fundની શરૂઆત કરી. આ માટે તેમણે લોકોને સહયોગ કરવા અપીલ કરી. બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે ખાસ પહેલ કરતાં આ ફંડ માટે 25કરોડની રકમ ડોનેટ કરી. અક્ષય કુમારની આ દરિયાદિલી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના વખાણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ફંડ COVID-19 મહામારી દ્વારા ઉત્પન્ન કોઇપણ પ્રકારની આપાતકાલીન કે સંકટપૂર્ણ સ્થિતિ સામે લડવા માટે લોકોને રાહત આપશે. આની અધ્યક્ષતા પીએમ મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને નાણાંમંત્રી કરશે. અક્ષય કુમાર તે લોકોમાંથી છે, જેમણે પીએમ કૅર ફંડ માટે પોતાની બચતમાંથી 25 કરોડ રૂપિયા આપ્યા. તેણે આ વાતની માહિતી ટ્વીટ કરીને આપી છે.
તેણે લખ્યું કે "આ એવો સમય છે, જ્યારે ફક્ત લોકોનું જીવન મહત્વનું છે અને આપણે તે દરેક કામ કરવાનું છે, જે જરૂરી છે, પછી ભલે કંઇપણ કરવું પડે. હું નરેન્દ્ર મોદીજીના પીએમ કૅર ફંડ માટે મારી બચતમાંથી 25 કરોડની રકમ આપું છું. આવો, લોકોના જીવ બચાવીએ, જાન હૈ તો જહાન હૈ."
અક્ષયની આ પહેલનું પીએમ મોદીએ સ્વાગત કર્યું અને અક્ષયના ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું કે શાનદાર પગલું અક્ષય કુમાર. આવો, સ્વસ્થ ભારત માટે દાન કરવાનો સિલસિલો જાળવી રાખીએ.