05 July, 2026 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સિસ્ટર નિબેદિતા’
સેલિના જેટલી ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબૅક કરી છે. તે ‘સિસ્ટર નિબેદિતા’માં લીડ રોલ ભજવશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં સેલિનાએ તેને પોતાની કારકિર્દીની સૌથી અંગત અને ઇમોશનલ સફર ગણાવી છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં સેલિનાએ કહ્યું હતું કે ‘સિસ્ટર નિબેદિતા સાથેનો મારો લાગણીસભર સંબંધ આ ફિલ્મ મળ્યાનાં ઘણાં વર્ષો પહેલાં જ શરૂ થઈ ગયો હતો. મારા પપ્પાનું પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ હતું ત્યારે હું મારાં મમ્મી-પપ્પા સાથે ઘણી વખત દાર્જીલિંગ જતી હતી. રસ્તામાં અમે વારંવાર રૉય વિલામાં રોકાતા. અહીં સિસ્ટર નિબેદિતાએ પોતાના જીવનના અંતિમ દિવસો વિતાવ્યા હતા. મારાં મમ્મી-પપ્પા ત્યાં ફરતાં. આજે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે એ સ્થળે હંમેશાં મને અંદરથી સ્પર્શ્યું હતું. મારી મમ્મીએ જ પ્રથમ વખત સિસ્ટર નિબેદિતાના જીવન અને વારસા વિશે જાણકારી આપી હતી. મને ત્યારે જરાય ખ્યાલ નહોતો કે એક દિવસ ભવિષ્યમાં હું આ મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વને પડદા પર જીવંત કરવાની પસંદગી બનીશ.’
કોણ હતાં સિસ્ટર નિબેદિતા?
સિસ્ટર નિબેદિતાનો જન્મ ૧૮૬૭માં આયરલૅન્ડમાં માર્ગરેટ નોબલ તરીકે થયો હતો. ૧૮૯૫માં લંડનમાં તેમની મુલાકાત સ્વામી વિવેકાનંદ સાથે થઈ હતી. ત્યાર બાદ તેઓ ભારત આવ્યાં અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદે તેમને ‘નિબેદિતા’ નામ આપ્યું હતું. તેઓ સ્વામી વિવેકાનંદનાં શિષ્ય બન્યાં હતાં અને સમાજસેવા, મહિલા સશક્તીકરણ તેમ જ શિક્ષણક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.