17 April, 2020 03:52 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાનું માનવું છે કે આ બીમારીના ફેલાવાથી લોકોની અંદરની સારી અને ખરાબ છબી બહાર આવી રહી છે. આવા સમયમાં લોકોએ એક બીજાની પડખે ઊભા રહીને મદદ કરવા પર પણ રિચાએ ભાર મુક્યો છે. આ વિશે વધુ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘આ મહામારી લોકોની અંદર છુપાયેલા સારાપણા અને ખરાબપણાને બહાર લાવી રહી છે. એવા કેટલાક લોકો છે જે લોકો અને પશુઓ માટે મદદ કરે છે અને એવા અમુક લોકો પણ છે જે તકનો લાભ લઈને ગરીબની સાથે અમાનવીય વર્તન કરે છે.’
બાંદરા રેલવે-સ્ટેશન પર પોતાના ઘરે જમા થયેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં રિચાએ કહ્યું હતું કે ‘અન્ય રાજ્યોમાંથી કામ માટે આવેલા ગરીબ મજૂરો બાંદરા અને સુરતમાં જમા થયા હતા. એવામાં લોકો તેમની જ નિંદા કરી રહ્યા છે કે તેઓ કમ્યુનિટી ટ્રાન્સમિશન કરી શકે છે. જોકે વાસ્તવિકતા એ છે કે આ ગરીબ લોકો નિસહાય છે. તેમની પાસે ઘરે જવા માટે સાધન નથી અને ભાડું ભરવા માટે પૈસા પણ નથી. આ જ સમય છે જ્યારે આપણે સૌએ સાથે આવવું જોઈએ અને મદદ કરવી જોઈએ. આશા રાખું છું કે લોકો આ મહામારીમાં સમજદાર બને અને પોતાના વર્તનમાં સુધારો લાવે.’