22 April, 2020 03:08 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent
સેલેબ્ઝે ઘટનાની ટીકા કરી.
પાલધરમાં ત્રણ વ્યક્તિને ટોળાએ માર મારીને મારી નાખ્યા હોવાની ઘટનાને બૉલીવુડની સેલિબ્રિટીઝે વખોડી કાઢી છે. ૧૬ એપ્રિલે બે સાધુ અને તેમનો ડ્રાઇવર નાશિકથી સુરત જઈ રહ્યા હતા જ્યાં બસોથી વધુ વ્યક્તિઓએ પાલઘરમાં તેમને માર માર્યો હતો. આ લોકો ચોર અને કિડનૅપર્સ હોવાની અફવા ચાલી હતી. આ ટોળાએ પોલીસને પણ માર માર્યો હતો અને તેમનાં બે વાહનો પર પણ હુમલો કર્યો હતો એવી ચર્ચા છે. જોકે એક વિડિયોમાં પોલીસ પોતે એક સાધુને ટોળાને હવાલે કરે છે અને તેમની સામે લોકો તેને માર મારે છે એ દેખાઈ રહ્યું છે. આ વિશે સેલિબ્રિટીઝ શું કહે છે એ જોઈએ :
પાલઘરમાં થયેલી ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં એનો હું વિરોધ કરું છું. આપણી સોસાયટીમાં આ રીતે ટોળામાં આવીને લોકો માર મારે એવું ન થવું જોઈએ. આશા રાખું છું કે ખૂનીઓને પકડવામાં આવે અને ન્યાય કરવામાં આવે.
- ફરહાન અખ્તર
પાલઘરના ન્યુઝ ખૂબ જ ભયાનક છે. આપણે ભૂલી ગયા હતા કે આપણે ક્રેઝી અને હુમલાખોર ટોળાની વચ્ચે રહીએ છીએ. સોથી વધુ લોકોએ ત્રણ વ્યક્તિના જીવ લીધા છે. તેમની ફૅમિલીના દુખમાં હું પણ સહભાગી છું. ખૂબ જ દુખદ ઘટના છે.
- રિચા ચઢ્ઢા
પાલઘરમાં થયેલી ઘટના ચલાવી લેવામાં નહીં આવે. આપણે સોસાયટી તરીકે કેવા છીએ એનું આ પ્રતિબિંબ છે. તમે જ્યારે રસ્તા પર થયેલા વાયલન્સ અને મૉબલિન્ચિંગની ઘટનાને નૉર્મલ ગણો ત્યારે એ એક દિવસ ઘરે આવીને ઊભી રહી જશે. આપણી સોસાયટીની આ એક બીમારી છે જેને રાક્ષસો બનાવે છે.
- સ્વરા ભાસ્કર
ટીવી પર એક વૃદ્ધ સાધુને ખૂબ જ નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો એ જોવું ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. એક અફવાને કારણે તેમણે તેમને મારી-મારીને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. ખૂબ જ દુખદ ઘટના છે. પોલીસ શું કરી રહી હતી? તે ભાગી ગઈ હતી?
- રવીના ટંડન
બે સાધુ અને તેમના ડ્રાઇવરનાં મૃત્યુ માટે જે પણ જવાબદાર હોય તેઓ કોઈ પણ સંજોગે બચવા નહીં જોઈએ. આપણી સિવિલ સોસાયટીમાં આવા રાક્ષસી કૃત્યને આપણે નહીં ચલાવી લઈએ.
- જાવેદ અખ્તર
પાલઘરમાં ત્રણ સાધુ પર થયેલા હુમલાને લઈને હું ખૂબ જ દુખી છું. અંત સુધી હું એ વિડિયો પણ ન જોઈ શક્યો. આ શું થઈ રહ્યું છે? આ કેમ થઈ રહ્યું છે? માનવતા કા જઘન્ય અપરાધ હૈ યૈ.
- અનુપમ ખેર