26 August, 2020 06:33 PM IST | Mumbai | Harsh Desai
અનુષ્કા શર્મા
કોરોના વાઇરસને લીધે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ ખૂબ જ સહન કરવું પડ્યું છે અને અનુષ્કા શર્મા ઇચ્છે છે કે બૉલીવુડ બાઉન્સ બૅક કરે. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી ફિલ્મોને રિલીઝ કરવાની તો વાત જ દૂર એનું શૂટિંગ પણ બંધ હતું. જોકે હવે ધીમે-ધીમે શૂટિંગ કરવાની પરવાનગી મળી રહી છે અને એ માટે ઘણા નિયમને ફૉલો કરવા પડે છે. અનુષ્કા ઍક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે અને એથી તેને આ લૉકડાઉનને કારણે થયેલી અસરની વધુ ખબર છે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘કાસ્ટ અને ક્રૂની સેફ્ટી રાખવામાં આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જ સારી છે. આ સમયમાં સેટ પર જવું એકદમ અલગ છે અને રહેશે, પરંતુ આપણે આ બદલાવને સ્વીકારી આગળ વધવું જોઈએ. આ સમય દરમ્યાન આપણે બધા એકબીજા માટે તકેદારી રાખીએ એ જરૂરી છે.’
આ લૉકડાઉનને કારણે અનુષ્કાએ ઘણું આત્મચિંતન કર્યું છે. આ વિશે અનુષ્કા કહે છે, ‘આ જ ક્ષણમાં જીવવું એ જ હવે મારા માટે મહત્ત્વનું છે અને એનાથી મને ખૂબ જ શાંતિ મળે છે. હું જ્યારે પણ ભવિષ્ય માટે પ્લાનિંગ કરીશ અથવા તો વિચારીશ ત્યારે સૌથી પહેલાં મારે વર્તમાનમાં મારી સામે જે હશે એના પર કામ કરવું પડશે.’
અનુષ્કા છેલ્લાં ત્રણ વર્ષથી પ્રોડ્યુસર તરીકે પણ ખૂબ જ ઍક્ટિવ છે અને તેણે જેવા કન્ટેન્ટ બનાવવા છે એ બનાવી રહી છે. ઍક્ટિંગ અને પ્રોડ્યુસર બનવાની સાથે તે તેની પર્સનલ લાઇફને પણ ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરે છે. આ વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી હું ખૂબ જ આત્મચિંતન કરી રહી છું. હું લાઇફમાં જે કંઈ સિદ્ધિ મેળવું છું એ જ મારી વૅલ્યુ છે એવું હું નથી વિચારતી. મારા મગજની શાંતિ એ મારી પ્રાયોરિટી છે અને મને ખુશી છે કે હું વધુ દયાળુ અને ઓછી જજમેન્ટલ બની છું.’