"મારો દરેક બર્થ-ડે મિડિયા સાથે જ ઊજવાય છે"

02 November, 2012 05:51 AM IST  | 

"મારો દરેક બર્થ-ડે મિડિયા સાથે જ ઊજવાય છે"



શાહરુખ ખાન આજે ૪૭ વર્ષનો થશે, પણ તે કોઈ ભવ્ય પાર્ટી કે સેલિબ્રેશન નથી કરવાનો. આમ પણ તે ક્યારેય પોતાનો બર્થ-ડે હાઈ-પ્રોફાઇલ પાર્ટી યોજીને સેલિબ્રેટ નથી કરતો, પણ આ વખતનું કારણ છે હજી બે અઠવાડિયાં પહેલાં જ શાહરુખ જેને પોતાના મેન્ટર માનતો હતો તે યશ ચોપડાની અચાનક વિદાય.

શાહરુખ કહે છે, ‘મેં આજે કામ કરવાનું પ્લાન કર્યું છે. ઍટલીસ્ટ દિવસ દરમ્યાન તો કામ કરીશ જ. મારા માટે જન્મદિન કદી બહુ સ્પેશ્યલ દિવસ રહ્યો નથી. હા, હંમેશની જેમ હું રેડિયો-સ્ટેશન્સ અને ન્યુઝપેપર્સ દ્વારા મારા તમામ શુભેચ્છકોનો આભાર જરૂર વ્યક્ત કરીશ.’

તેના અઢળક ચાહકો જન્મદિને ‘મન્નત’ની બહાર એકઠા થઈ જાય છે એ વિશે કિંગ ખાન કહે છે, ‘આ એક શિરસ્તો બની ગયો છે. દર વર્ષે હું લોકોને કેક અને કાર્ડ્સ લઈને આવેલા જોઉં છું. જોકે હું મોડો ઊઠું છું એટલે મને લાગે છે કે મારે ઍટલીસ્ટ એક શામિયાનો બાંધી દેવો જોઈએ જેથી મારા ચાહકોને સૂરજના તાપથી પરેશાન ન થવું પડે. લોકોની શુભેચ્છાઓ મેળવવાનો અનુભવ ખરેખર અદ્ભુત હોય છે.’


બર્થ-ડે સ્પેશ્યલ : જુઓ કિંગ ખાનની દુર્લભ તસવીરો


બની શકે કે બર્થ-ડેના દિવસે શાહરુખ બૉલીવુડના સ્ટાર્સ સાથે સમય પસાર ન કરે, પણ તેણે મિડિયા સાથે તો સમય ગાળવો જ પડશે. એ વિશે તે કહે છે, ‘ખરેખર તમે કાંઈ પણ કરો, એટલી ફની સિચુએશન હોય છે કે મારો બર્થ-ડે મિડિયા સાથે સેલિબ્રેટ થઈ જતો હોય છે. એ દિવસે પાર્ટી હોય કે ન હોય, મિડિયા સાથે ઘણો સમય વીતી જાય છે. એ બહુ દુખદાયક નથી?’

શાહરુખની ૨૧મી વેડિંગ-ઍનિવર્સરી યશ ચોપડાના અવસાનના ચાર દિવસ પછી જ હતી અને એટલે એની કોઈ જ ઉજવણી પણ નહોતી થઈ. તે કહે છે, ‘જે કંઈ અચાનક બની ગયું એ પછી મને કોઈ સેલિબ્રેશનની ઇચ્છા નહોતી રહી. એ રાતે આદિત્ય ચોપડાએ મને ગૌરી સાથે ડિનર પર બહાર જવાનું કહેલું, પણ ખબર નહીં કેમ દિલથી ખૂબ કરીબ વ્યક્તિને ગુમાવ્યા પછી એવો કોઈ મૂડ નહોતો રહ્યો.’

યાદગાર પળ

કહેવાની જરૂર નથી કે શાહરુખ ખાન અને યશ ચોપડાના સંબંધો ઘનિષ્ઠ હતા. યશજી સાથેની કોઈક યાદગાર પળો વિશે પૂછવામાં આવતાં શાહરુખ કહે છે, ‘થોડુંક વિચિત્ર લાગશે, પણ અમે ક્યારેય કોઈ દૃશ્ય કે શૉટની ચર્ચા કરી નથી. ઊલટાનું અમે જીવન વિશે ઘણી ચર્ચાઓ કરી છે. તેમણે મને કહેલી સૌથી સુંદર વાત જો કોઈ હતી તો એ કે હું જેટલા પણ લોકોને ઓળખું છું એમાંથી તું ખરેખર સ્ત્રીઓને સાચા અર્થમાં રિસ્પેક્ટ આપે છે અને મારે મન તારી ઓળખ એ જ છે. આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ છે.’