29 February, 2020 04:08 PM IST | Mumbai
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાએ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં ગેનું પાત્ર ભજવ્યા બાદ હવે ‘સ્ત્રી રોગ વિભાગ’માં ગાયનેકોલૉજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આયુષ્માન સામાજિક સંદેશ આપતી ફિલ્મોમાં કામ કરવામાં રસ ધરાવે છે. હાલમાં રિલીઝ થયેલી ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં તેણે ગે લોકોના જીવન અને તેમના મુદ્દાઓને વાચા આપી છે. તે શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મ બાદ તે હવે ‘સ્ત્રી રોગ વિભાગ’માં અલાયા ફર્નિચરવાલાની સાથે જોવા મળશે એવી ચર્ચા છે. અલાયાએ ‘જવાની જાનેમન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને જંગલી પિક્ચર્સ પ્રોડ્યુસ કરશે. આ અગાઉ જંગલી પિક્ચર્સની ‘બરેલી કી બરફી’ અને ‘બધાઇ હો’માં આયુષ્માને કામ કર્યું હતું. આ બન્ને ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો હતો. એવામાં આયુષ્માન હવે વધુ એક અગત્યના વિષય પર પ્રકાશ પાડશે. ફિલ્મ વિશે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.