હું નથી ઇચ્છતો કે મારાં બાળકો પોતાને સ્ટાર સમજવા માંડે :આયુષ્માન ખુરાના

07 October, 2019 09:11 AM IST  |  મુંબઈ

હું નથી ઇચ્છતો કે મારાં બાળકો પોતાને સ્ટાર સમજવા માંડે :આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે તે નથી ઇચ્છતો કે તેનાં બાળકો તેમના દિમાગમાં એ વાત બેસાડી દે કે તેઓ સ્ટાર છે. એથી તે અને તેની વાઇફ તાહિરા કશ્યપ ખુરાના તેમનાં બાળકોનો ઉછેર સામાન્ય બાળકની જેમ કરવા માગે છે. એ વિશે આયુષ્માને કહ્યું હતું, ‘મારાં બાળકોનો ઉછેર હું સામાન્ય રીતે કરવા માગું છું. તેમને માટે એ સારી બાબત છે. તેમના દિમાગમાં એ વાત ન બેસવી જોઈએ કે તેઓ સ્ટાર્સ બની ગયાં છે. દરેક વસ્તુ માટે તેમણે પરિશ્રમ કરતાં શીખવું જોઈએ. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે હું અને તાહિરા તેમનો એવી રીતે ઉછેર કરીશું.’
આયુષ્માનની ફિલ્મો એક પછી એક સફળ થઈ રહી છે. એમાં ‘બધાઈ હો’ અને ‘અંધાધૂન’ પણ સામેલ છે. પોતાની ફિલ્મો વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું, ‘હું ખુશ છું કે મને આવી સ્ટોરીઝ દેખાડવાની તક મળી છે. આવી સ્ટોરીઝ માટે મારા વિશે વિચારવામાં આવે છે. એનાથી મને વિશ્વાસ બેસે છે કે હું જેપણ કરી રહ્યો છું એ યોગ્ય છે. જોકે એનો અર્થ જરા પણ એ નથી કે હું અલગ પ્રકારની ફિલ્મો નહીં કરું. હું દરેક પ્રકારની ફિલ્મો કરવા માટે તૈયાર છું, જે મેં આ અગાઉ કદી પણ ન કર્યું હોય.’

ayushmann khurrana