આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જાણીતા જ્યોતિષ પી ખુરાનાનું નિધન

19 May, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંડિત પી ખુરાના જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ગહન જ્ઞાન અને કુશળતા માટે ખૂબ જાણીતા હતા. તેમણે ઘણા પુસ્તકો લખ્યા હતા જેને અસંખ્ય વાચકોનો અપાર પ્રેમ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાના પિતા પંડિત પી ખુરાનાનું નિધન થયું છે. સમાચાર મળતાં જ મનોરંજન જગતમાં ભારે શોકનો માહોલ ઊભો થયો છે. આ દુ:ખદ ઘટનાએ ખુરાના પરિવાર અને તેમના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે.

તેમના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, “અમારે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા, જ્યોતિષી પી ખુરાનાનું આજે સવારે 10:30 વાગ્યે મોહાલીમાં લાંબી બીમારીને કારણે નિધન થયું છે.”

પંડિત પી ખુરાના જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ગહન જ્ઞાન અને કુશળતા માટે વ્યાપકપણે જાણીતા હતા. તેઓ એક અગ્રણી જ્યોતિષી તરીકે જાણીતા હતા, તેમણે ઘણા પુસ્તકો લખ્યા હતા, જેને અસંખ્ય વાચકોએ અપાર પ્રેમ આપ્યો. બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા માટેના તેમના વિદ્વતાપૂર્ણ પ્રયત્નો અને સમર્પણને કારણે જ્યોતિષીય સમુદાયમાં તેમણે ખૂબ જ સન્માન મળ્યું હતું.

પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે પંડિત પી ખુરાના હૃદયની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા અને તેમની ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. મિત્રો, કુટુંબીજનો અને પ્રશંસકોને વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે.

તેમના નિધનના સમાચારે મનોરંજન જગતમાં આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના અનુયાયીઓમાં શોકની લહેર ફેલાવી છે, જેમણે તેમની અસાધારણ પ્રતિભા અને વર્સેટિલિટીથી પ્રેક્ષકોને મોહિત કર્યા છે. ભાઈઓ અને તેમના પિતા વચ્ચેનો ગાઢ સંબંધ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે, જે તેમના પ્રત્યેનો તેમનો પ્રેમ અને ઊંડી પ્રશંસા દર્શાવે છે.

આ પણ વાંચો: ખાલી બૅગને કારણે ટ્રોલ થઈ આલિયા

ખુરાના પરિવારે સમાચાર શૅર કરતાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે  કે “અમારા પિતા પી. ખુરાના (વીરેન્દ્ર ખુરાના), અમારા જીવનના આધારસ્તંભ અને અમારા પરિવારના ધબકારા સમાન, અમને છોડી ગયા છે. અંતિમ સંસ્કાર આજે શુક્રવાર, 19મે 2023, સાંજે 5:30 કલાકે મણિમાજરા સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.”

entertainment news bollywood news ayushmann khurrana aparshakti khurana