12 April, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશા ભોસલે અને પંચમ દા (તસવીર - એક્સ)
Asha Bhosle Death: પીઢ ગાયિકા આશા ભોસલેનું નિધન થવાથી સમગ્ર કલાજગતમાં શોકની લહેર પ્રસરી છે. સાંગલીમાં જન્મેલા આશાતાઈ પંડિત દીનાનાથ મંગેશકરના ત્રીજા પુત્રી હતા. લતા મંગેશકર, ઉષા મંગેશકર, હૃદયનાથ મંગેશકર અને મીના ખડીક તેમના ભાઈ-બહેન હતાં. આશાતાઈની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મથી કમ રહી નથી.
આશાતાઈ (Asha Bhosle Death) જ્યારે ૧૬ વર્ષનાં હતાં ત્યારે સૌ પ્રથમવાર લતા મંગેશકરના સચિવ ગણપત રાવ ભોસલેના પ્રેમમાં પડ્યા હતા. ત્યારે ગણપત રાવ ભોસલેની વય ૩૬ વર્ષની હતી. એટલે કે આશાતાઈને તેમનાથી ૨૦ વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમ થયો હતો. જોકે, તેઓના લગ્નનો ઘરમાં ખૂબ જ વિરોધ થયો. તેથી તેઓએ ભાગીને લગ્ન કર્યા હતા. કહેવાય છે કે આશાતાઈનાં આ પગલાંથી તેઓની બહેન લતા મંગેશકર પણ તેમના પર ખૂબ ગુસ્સે થયા હતા. એટલું જ નહીં લતાજીએ ઘણા વર્ષો સુધી આશાજી સાથે વાત પણ નહોતી કરી. પણ આ લગ્નજીવન લાંબુ ચાલ્યું નહોતું. પતિ અને સાસરિયાઓ દ્વારા આશાજીને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. આખરે ૧૯૬૦માં ગણપતરાવ સાથેના સંબંધો તેઓએ તોડી નાખ્યા હતા અને છૂટા પડી ગયા હતા.
બે બાળકો અને ત્રણ મહિનાના ગર્ભ સાથે તેઓએ સાસરું છોડ્યું હતું. જ્યારે આશાતાઈ (Asha Bhosle Death)ને ત્રીજી વખત ગર્ભ રહ્યો ત્યારે તેમના સાસરિયાઓએ તેમને ઘરની બહાર ધકેલી દીધી હતી. તે સમયે આશાતાઈએ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. તેઓ માનસિક રીતે એટલાં ભાંગી પડ્યા હતા કે ઊંઘની ગોળીઓની એક આખી શીશી ખાઈ ગયા હતા. પરંતુ તેઓએ પોતાના બાળકો માટે થઈને આત્મહત્યાનું પગલું ભર્યું નહોતું.
સાસરું છોડીને આવ્યા બાદ તેઓએ સંગીતની દુનિયામાં પગ મૂક્યો. ત્યારે આશાતાઈ (Asha Bhosle Death)નો ભેટો થયો ઓ. પી. નય્યર સાથે. અને ઓ. પી. નય્યર સાથેનો તેમનો ઘરોબો વધુ કેળવાતો ગયો. પણ નય્યર તો પરિણીત હતા અને તેઓને ચાર બાળકો હતા. પરંતુ આશાતાઈ ખુલ્લેઆમ તેઓની સાથે ફરતા રહ્યા. આશાતાઈએ પંચમ દા સાથે બીજી વખત લગ્ન કર્યા. પંચમ દા કરતાં આશા ભોંસલે છ વર્ષ મોટા હતા. આ બંનેની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે. આ બંને પહેલીવાર ૧૯૫૬માં મળ્યા હતા. પંચમ દા આશા ભોંસલેના ફૅન હતા. પહેલી મુલાકાત વખતે તો બંને વચ્ચે વધુ કંઇ વાત નહોતી થઈ. પંચમ દાએ ખાલી આશા ભોસલે પાસે તેમનો ઓટોગ્રાફ માંગ્યો હતો. તે સમયે આશા ભોસલેનું નામ થઈ ગયું હતું. આર. ડી. બર્મન સુપ્રસિદ્ધ સંગીતકાર સચિન દેવ બર્મનના પુત્ર હતા. દસ વર્ષ પછી, આશા ભોસલેને આર. ડી. બર્મને ફિલ્મ `તીસરી મંઝિલ` માટે ગાવા માટે આશાજીનો સંપર્ક કર્યો હતો. `ઓ હસીના ઝલ્ફો વાલી` આ સોન્ગના રેકોર્ડિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
ફિલ્મ `તીસરી મંઝિલ` પછી આશાજી (Asha Bhosle Death)એ પંચમ દા માટે ગાવાનું શરૂ કર્યું. આશા ભોસલે ફિલ્મોમાં ગાતી હતી જેના માટે આર. ડી. બર્મન સંગીત આપતા હતા. સિત્તેરના દાયકામાં બંનેએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ તે સમય હતો જ્યારે તેમના બંનેના પહેલા લગ્ન નિષ્ફળ ગયા હતા. આર. ડી. બર્મન પોતાની પહેલી પત્ની રીટા પટેલથી અલગ થઈ ગયા હતા.અને બીજી તરફ આશા ભોસલે પણ પોતાના પહેલા પતિ ગણપતરાવ ભોસલેથી અલગ થઈ ગયા હતા. બંને એકલા હતા અને એકબીજાની નજીક આવતા ગયા.
આર. ડી.એ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ તેમની માતા વિરોધમાં હતી. તેથી બંનેએ થોડીક રાહ જોઈ. તે દરમિયાન આર. ડી. બર્મનના પિતા સચિન દેવ બર્મનનું અવસાન થયું હતું. પછી પતિના મૃત્યુના આઘાતથી મીરા પણ માનસિક રીતે કથળતા ગયા અને યાદશક્તિ ગુમાવી બેઠા. હવે આર.ડી.ને લાગ્યું કે તેની માતાની તબિયતમાં સુધારો થવાનો નથી એટલે 1980માં આશાજી સાથે તેઓએ લગ્ન કર્યા.