18 March, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયા ઘોષાલ
બૉલીવુડમાં અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે અને હવે શ્રેયા ઘોષાલે પોતે પણ નિવૃત્તિ લઈ લેશે એવી વૉર્નિંગ આપી દીધી છે. શ્રેયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું સ્ટેજ પર ક્યારેય લિપ-સિન્કિંગ નહીં કરું અને જે દિવસે આવું કરવું પડશે એ દિવસે ગાવાનું બંધ કરી દઈશ. લાઇવ સિન્ગિંગ મારા માટે માત્ર પર્ફોર્મન્સ નહીં પરંતુ મારી ઓળખનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. દર્શકો ખરેખર જીવંત અવાજ સાંભળવા આવે છે, તેથી લિપ-સિન્ક કરવાનું મને વિચિત્ર લાગે છે. જ્યાં સુધી મારો અવાજ સાથ આપશે ત્યાં સુધી હું લાઇવ ગાવાનું જ પસંદ કરીશ. જો એવું નહીં થાય તો હું નિવૃત્તિ લઈ લઈશ.’ શ્રેયાએ લાઇવ પર્ફોર્મન્સ આપતા કલાકારોની જવાબદારી વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ‘એક એન્ટરટેઇનર તરીકે વ્યક્તિગત સમસ્યાઓ સ્ટેજ પર દેખાવી ન જોઈએ, કારણ કે લોકો સંગીતમાં સાંત્વન અને પ્રેરણા શોધવા આવે છે. દર્શકો તરફથી મળતો પ્રેમ અને તાળીઓ જ કલાકાર માટે સૌથી મોટી પ્રેરણા હોય છે.’