પાયલ ઘોષે મૂકેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અનુરાગ કશ્યપે

21 September, 2020 09:38 PM IST  |  Mumbai | Agencies

પાયલ ઘોષે મૂકેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અનુરાગ કશ્યપે

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ પર પાયલ ઘોષે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના જે આરોપો મૂક્યા છે એને તેણે નકાર આપ્યો છે. પાયલ ઘોષે 2017માં આવેલી ‘પટેલ કી પંજાબી શાદી’માં કામ કર્યું હતું. ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટ્વીટ કરીને પાયલ ઘોષે સખત પગલાં લેવાની અપીલ કરી છે. ટ્વિટર પર પાયલ ઘોષે ટ્વીટ કર્યું હતું કે ‘2014માં અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી. મેં અનેક વખત એ વિશે બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી ફૅમિલી અને મિત્રોએ મને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે એ માટે મને ચૂપ કરાવી દીધી હતી. એથી મારે મૌન રહેવું પડ્યું હતું. આપણે આ વિશે બોલવું જોઈએ જેથી કોઈ પોતાના પાવરનો આવી રીતે ગેરલાભ ન લઈ શકે. હું પહેલી વખત તેને તેની ઑફિસમાં મળવા ગઈ હતી તો તે કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેણે મને તેની સામે બેસવા કહ્યું. તે સતત કોઈની સાથે વાત કરવામાં મશગૂલ હતો એથી હું ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે તેણે મને બોલાવી અને કહ્યું કે તું ઍક્ટ્રેસ હોવાથી ગ્લૅમરસ કપડાં નહીં પહેરતી, પરંતુ સિમ્પલ કપડાં પહેરજે. એથી હું સલવાર-કમીઝ પહેરીને તેને મળવા ગઈ હતી. તેણે મારા માટે જમવાનું બનાવ્યું. જમીને હું ત્યાંથી નીકળી ગઈ, પરંતુ તેણે મને ફરીથી આવવાનો મેસેજ કર્યો. જોકે ઘણું મોડું થઈ ગયું હોવાથી મેં ના પાડી હતી. તેણે મારી સાથે કોણ રહે છે એવું પણ પૂછ્યું હતું. બે-ત્રણ દિવસ બાદ તેણે મને પાછી તેના ઘરે બોલાવી હતી. તે સ્મોક કરી રહ્યો હતો. થોડા સમય બાદ તે મને બીજી રૂમમાં લઈ ગયો. ત્યાં તેનાં અને તેની વાઇફ કલ્કિ કોચલીનનાં ઘણાંબધાં શૂઝ હતાં. તેણે મને કહ્યું કે મારી વાઇફ મારા પર ગુસ્સે થઈને અમેરિકા ચાલી ગઈ છે. અનુરાગે સાથે એમ પણ કહ્યું હતું કે અનેક છોકરીઓ રણબીર કપૂર સાથે કામ કરવા માટે તેની સાથે કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે. એ વખતે તે ‘બૉમ્બે વેલ્વેટ’ પર કામ કરી રહ્યો હતો. અચાનક જ તેણે પોતાનાં બધાં કપડાં ઉતારી નાખ્યાં. સાથે જ મને પણ કપડાં ઉતારવા કહ્યું હતું. એથી મેં તેને કહ્યું સર, હું કમ્ફર્ટેબલ નથી. તો તેણે કહ્યું કે મેં જે પણ ઍક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે તે બધી માત્ર મારા એક કૉલ પર આવી જાય છે. આ ઘટના બાદ હું તરત ત્યાંથી ભાગી નીકળી અને પછી તો તેને કદી પણ મળી નહોતી. એ ઘટના તો મને આજ દિન સુધી ડરાવી રહી છે.’
પાયલના આવા આક્ષેપો પર પોતાનો પક્ષ માંડતાં ટ્વિટર પર અનુરાગે ટ્વીટ કર્યું હતું કે ‘શું વાત છે આટલો સમય લઈ લીધો મને ચૂપ કરાવવા માટે? મને ચૂપ કરાવતાં-કરાવતાં એટલું જુઠ્ઠું બોલી ગઈ કે મહિલા થઈને અન્ય મહિલાને પણ આમાં ઘસડી દીધી. થોડી તો મર્યાદા રાખવી જોઈએ મૅડમ. હું એટલું જ કહીશ કે તેં જે પણ આરોપો મારા પર લગાવ્યા છે એ પાયાવિહોણા છે.’

હંસી તો ફંસીમાં સુશાંત સાથે કામ કરવાની ના પાડી હતી પરિણીતી ચોપડાએ: અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપે જણાવ્યું છે કે ‘હંસી તો ફંસી’માં સુશાંત સિંહ રાજપૂત સાથે પરિણીતી ચોપડાએ કામ કરવાની ના પાડી હતી. પરિણીતીને ટીવી કલાકાર સાથે કામ નહોતું કરવું. જોકે બાદમાં બન્નેએ ‘શુદ્ધ દેસી રોમૅન્સ’માં સાથે કામ કર્યું હતું. એ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘સુશાંત ‘હંસી તો ફંસી’માં કામ કરવાનો હતો. અમે ઍક્ટ્રેસ શોધી રહ્યા હતા. એના માટે અમે પરિણીતી પાસે પહોંચ્યા હતા તો તેણે કહ્યું કે હું ટેલિવિઝનના ઍક્ટર સાથે કામ નહીં કરું. ત્યારે અમે તેને સુશાંત વિશે વિસ્તારમાં જણાવ્યું હતું. અમે કહ્યું હતું કે તેણે ‘કાઇપો છે’ અને ‘PK’માં કામ કર્યું છે. એ જ વખતે ‘હંસી તો ફંસી’ આવી તો તે માત્ર એક ટેલિવિઝન ઍક્ટર નહોતો રહ્યો. પરિણીતી ‘શુદ્ધ દેસી રોમૅન્સ’ કરી રહી હતી. તે કદાચ યશરાજ ફિલ્મ્સ પાસે ગઈ હશે. તેમણે સુશાંતને બોલાવ્યો અને તેમણે કહ્યું કે તું ‘શુદ્ધ દેસી રોમૅન્સ’માં કામ કરી લે અને એ ફિલ્મ ન કર. ત્યાર બાદ તો તે ગાયબ જ થઈ ગયો.’

bollywood bollywood news bollywood gossips anurag kashyap