16 June, 2020 05:28 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
અભિનવ અને અનુરાગ કશ્યપ
સુશાંત સિંહ રાજપૂતે આ વિશ્વને માત્ર 34 વર્ષની વયે અલવિદા કહી દીધું. તેમના ગયા પછી ઇન્ડસ્ટ્રીમાં એક વિવાદ છેડાયો છે. લોકો આઉટસાઇડર અને ઇનસાઇડરની વાતો કરી રહ્યા છે. આ દરમિયાન 'દબંગ' ફિલ્મના નિર્દેશક અને અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે આ મુદ્દે સલમાન ખાન અને તેમના પરિવારને પણ ખસેડ્યા છે. તેમણે પોસ્ટમાં સલમાન ખાન પર પણ ઘણાં ગંભીર આરોપ મૂક્યા છે. ભાઈના આ નિવેદન પછી અનુરાગ કશ્યપે આ પ્રતિક્રિયા આપી છે.
અનુરાગે શું કહ્યું?
અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "મીડિયા મને ફોન કરી રહી છે અને જે લોકો એ જાણવા માગે છે કે આ મારા નિવેદન તરીકે માનવું જોઇએ કે શું? લગભગ બે વર્ષ પહેલા અભિનવે મને સ્પષ્ટ રીતે તેના કામથી દૂર રહેવા કહ્યું હતું. તે જે કહે છે કે કરે છે, તેના પર મારું કંઇપણ કહેવું યોગ્ય નથી."
અભિનવે શું કહ્યું?
અભિનવ કશ્યપે ફેસબૂક પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ કરવાની માગ કરી છે. આ સિવાય તેણે બોલીવુડમાં કામ કરતી એજન્સીઓ પર નિશાન સાધ્યો છે. આ સિવાય તેણે સલમાન ખાન અને તેના આખા પરિવાર પર ગંભીર આરોપ મૂક્યા છે. તેનું કહેવું છે કે દબંગ-2ના નિર્દેશન માટે ના પાડ્યા પછીથી અરબાઝ ખાન અને સોહેલ ખાને તેનું કરિઅર બરબાદ કરવાના સંપૂર્ણ પ્રયત્નો કર્યા. આની પાછળ તેણે સલમાન ખાનનો હાથ છે તે પણ જણાવ્યું છે.
નોંધનીય છે કે 14 જૂનના બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રાના ઘરમાં ફાંસી ખાઇને આપઘાત કર્યો. ત્યાર પછીથી જ બોલીવુડમાં કામના દબાણ અને કેટલાય અન્ય મુદ્દાઓ પર લોકો વાત કરી રહ્યા છે. કંગના રણોત અને શેખર કપૂર પણ આ મુદ્દે ટ્વીટ કરી ચૂક્યા છે.