20 July, 2020 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનુપમ ખેર માતા દુલારી સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
એક બાજુ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને ચારેય બાજુથી ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યાં છે, ત્યારે બૉલીવુડના ખેર પરિવારમાંથી એક સારા સમાચાર આવ્યા છે. અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)ની માતા દુલારી કોરોના વાયરસ (COVID-19)ને માત આપીને ઘરે પાછા ફર્યા છે. આ વાતની માહિતી અનુપમ ખેરે પોતે સોશ્યલ મીડિયા પર વીડિયો શૅર કરીને આપી છે. સાથે જ ચાહકોનો આભાર પણ માન્યો છે.
12 જૂલાઈના રોજ અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી તથા ભત્રીજીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અનુપમની માતાને કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં અને અભિનેતાના ભાઈ-ભાભી તથા ભત્રીજી ઘરમાં જ ક્વૉરન્ટીન થયા હતા. હવે, હૉસ્પિટલના ડૉક્ટરોએ અનુપમ ખેરની માતા દુલારીની તબિયત સારી હોવાથી રજા આપી દીધી છે અને ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું કહ્યું છે. અનુપમ ખેરે આ બાબતની માહિતી આપતો અને ચાહકોનો આભાર માનતો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે, કોકિલાબેન હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું છે કે મારી માતા હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ઘરે આવી શકશે. ડૉકટરોએ એમ કહ્યું છે કે, તેમને આઠ દિવસ હૉમ ક્વોરન્ટીન થવાનું રહેશે.
આ સાથે જ અભિનેતાએ હૉસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો કે તેમને મુશ્કેલીના સમયમાં માતાનું ધ્યાન રાખ્યું. તેમજ ચાહકોનો પ્રાર્થના કરવા અને હિમ્મત આપવા માટે આભાર માન્યો હતો. સાથે જ સલાહ આપી હતી કે, આ સમયે કોરોનાથી બચવા માટે નિકટના લોકોથી પણ દૂર રહેવું જરૂરી છે. તેમજ કોરોનાનો સામનો કરતા પરિવારો માટે હાથ જોડીને પ્રાર્થના કરી હતી.